
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં દર્શન કરીને વર્ષ 2080ના નૂતન વર્ષનો કર્યો પ્રારંભ
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરીને કર્યો હતો. ત્યાર બાદ અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન અને સીમંધર સ્વામી સહિતના દેવોની પૂજા અર્ચના માટે પહોંચ્યા હતા અને પૂજ્ય નીરૂમાંની સમાધિ પર શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને નૂતન વર્ષની હ્રદયપૂર્વક શુભકામનાઓ આપતા કહ્યું કે આ નૂતન વર્ષ નવા સંકલ્પો નવી ઊર્જા નવી ચેતના સાથે સૌના સાથ સૌના સહયોગથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દેશને વિકાસની નવી ઉંચાઈઓ સર કરાવનારું બને તે માટે સૌ પ્રતિબદ્ધ થઇએ.
તેમણે વડાપ્રધાનની પ્રેરણાથી નૂતન વર્ષ પછીના જ દિવસે 15મી નવેમ્બર બિરસા મુંડા જન્મ જયંતીથી યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળ બનાવવા પણ સૌ નાગરિકોને અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ પંચદેવ મંદિર અને ત્રિમંદિર ખાતે ભાવિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય શ્રીમતી રીટા બહેન, શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ અને પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર વાઘેલા, પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી અને અધિકારીઓએ મુખ્ય મંત્રીને આવકાર્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીએ ત્યાર બાદ મંત્રી મંડળ નિવાસ સંકુના કોમ્યુનિટી સેન્ટર ખાતે ઉપસ્થિત રહીને નાગરિકો સાથે નૂતન વર્ષ શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતું. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર તેમજ વરિષ્ઠ સચિવો ધારાસભ્યો,પદાધિકારીઓ એ પણ મુખ્યમંત્રી સાથે નૂતન વર્ષાભિનંદન કર્યા હતા. (file photo)