1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોમન યુનિ. એક્ટને 200 દિવસ થયાં છતાંયે 8 યુનિવર્સિટીઓમાં હજુ ઈન્ચાર્જ કૂલપતિઓઃ કોંગ્રેસ
કોમન યુનિ. એક્ટને 200 દિવસ થયાં છતાંયે 8 યુનિવર્સિટીઓમાં હજુ ઈન્ચાર્જ કૂલપતિઓઃ કોંગ્રેસ

કોમન યુનિ. એક્ટને 200 દિવસ થયાં છતાંયે 8 યુનિવર્સિટીઓમાં હજુ ઈન્ચાર્જ કૂલપતિઓઃ કોંગ્રેસ

0
Social Share

અમદાવાદઃ  સ્ટેટ યુનિવર્સિટી એકટ મંજૂરીના 200 દિવસ વિતી ગયા છતાં રાજ્યની આઠ યુનિવર્સિટીઓ ઇન્ચાર્જ કુલપતિઓના હવાલેથી ચાલી રહી છે. મનગમતા કુલપતિઓની નિમણૂક પાછળ ભાજપા-સંઘની આંતરિક ખેંચતાણને લીધે ઉચ્ચ શિક્ષણ અને યુનિવર્સિટીની વ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે. કોલેજો ઈન્ચાર્જ પ્રિન્સિપાલોના હવાલે અને યુનિવર્સિટીઓ ઈન્ચાર્જ કુલપતિઓના હવાલે કરીને ભાજપા સરકારે શિક્ષણ વ્યવસ્થાની અધોગતિ કરી છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું.

તેમણે ભાજપ સરકાર સામે પ્રહાર કરતા વધુમાં જણાવ્યું હતું કે,  ગુજરાતમાં 350 ગ્રાન્ટેડ કોલેજમાંથી 200 જેટલી કોલેજોમાં લાંબા સમયથી કાયમી આચાર્યો નથી. કાયમી આચાર્ય ના હોવાથી જે તે કોલેજોને  “નેક”ની માન્યતા મેળવવામાં સમસ્યા પડી રહી છે. રાજ્યોની યુનિવર્સિટીઓને “નેક”ના આધારે ગ્રાન્ટ અને અન્ય નાણાંકીય સુવિધાઓ મળે છે. રાજ્યની સૌથી જૂની અને એક સમયની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીનું “નેક” જોડાણ માટે છેલ્લા સાત વર્ષ જેટલો સમય વિતી ગયો છતા આજદિન સુધી અરજી કરવામાં યુનિવર્સિટી સત્તાધીશો નિષ્ફળ રહ્યાં છે. એક તરફ સ્ટેટ યુનિવર્સિટી એકટ આધારે નેક” ધરાવતી કોલેજોના આચાર્યઓને જ બોર્ડ ઓફ મેનેજમેન્ટ-સત્તામંડળમાં સ્થાન મળશે તે જોગવાઈ આગળ કરીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા યુનિવર્સિટી એક્ટ અન્વયે પ્રિન્સિપાલોને નિયુક્તીથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે બીજીબાજુ ગુજરાત યુનિવર્સિટી ખુદને જ નેકનું પુનઃ જોડાણ નથી તો તેના માટે સત્તાધીશો અને રાજ્ય સરકાર કેમ મૌન ? શિક્ષણ વ્યવસ્થા માટે ભાજપ સરકાર લાંબા સમયથી સાચી દિશામાં યોગ્ય પગલા ભરી રહી નથી તે ગુજરાત માટે ચિંતાનો વિષય છે.

તેમણે કહ્યું હતું કે, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ-2023 ના મોડલ સ્ટેચ્યુટ માત્ર પાંચ દિવસમાં રાજ્યની આઠ યુનિવર્સિટી કક્ષાએ સત્તા મંડળમાં સ્ટેચ્યુટ પસાર કરી મોકલી આપવા તાકીદ કરવામાં આવી છે. આટલા ગંભીર વિષય પર પાંચ દિવસનો સમય કેટલો વ્યાજબી ગણાય ? ભાજપ સરકાર શિક્ષણ માટે કેટલી ગંભીર છે, તે લાખો વિદ્યાર્થીઓને અને શિક્ષણવિદોને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રાજ્યની યુનિવર્સિટીઓમાં નિમણુંક, ટેન્ડરો સહિત અનેક નાણાંકીય ગોલમાલ-ભ્રષ્ટાચાર એ ભાજપ સરકારમાં સામાન્ય બાબત બની ગઈ છે અને મોટા ભાગના કિસ્સાઓમાં સરકારના ઈશારે ગોલમાલ-ભ્રષ્ટાચાર કરનારને શિક્ષણ વિભાગ બચાવી રહ્યું છે. યુનિવર્સિટી  ગ્રાન્ટ કમિશનના આદેશ મુજબ દેશની દરેક યુનિવર્સિટી અને કોલેજો એ નેક ની માન્યતા ફરજિયાત હોવા છતાં ગુજરાતની મોટા ભાગની યુનિવર્સિટી અને કોલેજોએ માન્યતા લીધી નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code