
રાજકોટ-ઉદેપુર વચ્ચે 21મી ઓગસ્ટથી ડેઈલી ફ્લાઈટ્સ શરૂ થશે, ફ્લાઈટનું ભાડુ 2800 નક્કી કરાયુ
રાજકોટઃ શહેરમાં 32 કિમી દુર હાઈવે નજીક હીરાસર ગામ પાસે બનાવેલા નવા એરપોર્ટ પરથી 10મી સપ્ટેમ્બરથી ફ્લાઈટ્સ ઉડાન ભરશે. એટલે 8મી સપ્ટેમ્બર સુધી જુના એરપોર્ટ પર અને ત્યારબાદ હીરાસર ગામ નજીક બનાવાયેલા નવા એરપોર્ટ પરથી ફલ્ઈટ્સ ઉડાન ભરશે. ત્યારે નવા રૂટ્સની ફ્લાઈટ્સ શરૂ કરવાની પણ માગ ઊઠી રહી છે. ત્યારે આગામી તા, 21મી ઓગસ્ટથી રાજકોટ-ઉદેપુર વચ્ચે ડેઈલી ફ્લાઈટ્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આથી રાજકોટ-સૌરાષ્ટ્રમાં ધંધાર્થે ઉદયપુરથી આવતા લોકો માટે તેમજ સૌરાષ્ટ્રમાંથી દર્શન માટે નાથદ્વારા જતાં લોકોને સુવિધા મળશે.પ્રાથમિક જાણકારી મુજબ ઈન્ડિગોની આ ફ્લાઈટ્સનું ભાડું રૂપિયા 2800 જેટલું નક્કી કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ અને ઉદયપુર વચ્ચે ઈન્ડિગો એરલાઈન્સ નિયમિત ફ્લાઈટ આગામી 21 ઓગસ્ટથી શરૂ કરાશે આ માટે ફ્લાઈટનું શિડ્યુલ જાહેર થઈ ગયું છે અને ટિકિટનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ રૂટના રસ્તાઓ ખરાબ હોવાથી ફ્લાઈટ શરૂ થતાં લોકોને મોટી રાહત મળશે. વેપાર અર્થે ઉદયપુર આવતા-જતા લોકો તેમજ નાથદ્વારા દર્શને જતા ભાવિકોમાં આ નિર્ણયથી આનંદની લાગણી જોવા મળી રહી છે.
એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોએ ઉમેર્યું હતું કે, આગામી તા. 21 ઓગસ્ટથી રાજકોટ-ઉદયપુર વચ્ચે ઈન્ડિગો એરલાઈન્સની નિયમિત ફ્લાઈટ શરૂ થઈ રહી છે. આ ફ્લાઈટ સવારે 8:40 વાગ્યે રાજકોટથી ઉપડશે અને 9:55 કલાકે ઉદયપુર પહોંચશે. જ્યારે ઉદયપુરથી સવારે 10:15 વાગ્યે ઉપડી 11:30 કલાકે રાજકોટ પહોંચશે. ફ્લાઈટનું રાજકોટ ઉદયપુરનું ભાડુ રૂ. 2800 નક્કી કરવામાં આવ્યું છે. રાજકોટથી નાથદ્વારા દર પૂનમે અને રજાના દિવસોમાં દર્શને જતાં લોકો માટે ફ્લાઈટ સુવિધારૂપ બની રહેશે. રાજકોટથી ઉદયપુર સુધી હાલ રસ્તા સાવ બિસ્માર હોય વાહન માર્ગે જવામાં અકસ્માતોનો સતત ભય રહે છે. આ ઉપરાંત રાજસ્થાનમાં વેપાર-ધંધા માટે જતાં લોકો માટે પણ આ ડેઈલી ફ્લાઈટ શરૂ થતાં સુવિધા વધશે. રાજકોટ સૌરાષ્ટ્રમાંથી રમણીય શહેર ઉદયપુરમાં ફરવા માટે પણ મોટા પ્રમાણમાં લોકો જાય છે. તેના માટે પણ આ ફ્લાઈટ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. (FILE PHOTO)