
ગાંધીનગરઃ યુથ કોંગ્રેસ દ્વારા ‘ગુજરાત માંગે રોજગાર’ અભિયાનનાં પ્રથમ ચરણની શરૂઆત ગાંધીનગરથી ગઈકાલથી કરવામાં આવી હતી. જે અન્વયે ગાંધીનગર શ્રમ રોજગાર કચેરીનો ઘેરાવો કરવા જતાં પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ સહિત 50 જેટલા કાર્યકર્તોની અટકાયત પોલીસે કરી લીધી હતી.
રાજ્યની તમામ શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવો કરવામાં આવશે. તેમજ રાજ્યમાં સરકારી આંકડા મુજબ 3 લાખ 64 હજાર 252 બેરોજગારો નોંધાયા છે. જેમાંથી 3 લાખ 46 હજાર 436 શિક્ષિત અને 17 હજાર 816 અર્ધ શિક્ષિત બેરોજગારીના આંકડા નોંધાયા છે. યુથ કૉંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા જણાવ્યું હતું કે, મંગળવારથી યુથ કૉંગ્રેસ ગાંધીનગરથી ‘ગુજરાત માંગે રોજગાર’ અભિયાનના પ્રથમ ચરણની શરૂઆત કરી છે. જેમાં રોજગાર ક્યાં છે. તે પ્રશ્ન સરકારને કરવામાં આવી રહ્યો છે.
યુથ કૉંગ્રેસનું દ્વિતીય ચરણની શરૂઆત 10 જૂલાઈના રોજ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બેરોજગાર યુવાનો પ્રશ્ન સાંભળવામાં આવશે. રાજ્યની 182 વિધાનસભામાં બેરોજગાર યુવાનોના ‘રોજગાર માંગ પત્ર’ ભરવામાં આવશે. રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારમાં અને ઝોનવાઇઝ યુવાનોને રોજગારી આપવા માટે વિશાળ બાઇક રેલી દ્વારા યુવાનોને રોજગાર આપો જેવા સૂત્રોચ્ચાર કરીને રાજ્યના દરેક જિલ્લાના કલેકટરને રોજગાર અંગે આવેદન આપવામાં આવશે.
યુથ કોંગ્રેસ દ્વારા ગઈકાલથી ગાંધીનગર શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરી ભારે સૂત્રોચારો કરીને અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવા જતાં પોલીસ તંત્ર દ્વારા પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા તેમજ અન્ય 50થી વધારે કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.