
દ્વારકાધિશના મંદિરમાં હવેથી ટુંકા વસ્ત્રો પહેરીને દર્શન માટે આવતા ભાવિકોને પ્રવેશ નહીં મળે
દ્વારકા : રાજ્યના સોમનાથ, અંબાજી સહિત મંદિરોમાં ટ્રસ્ટીઓ અને મંદિરના વહિવટકર્તાઓ દ્વારા દર્શન માટે આવતા ભાવિકો માટે ટુંકા વસ્ત્રો પહેરીને આવવા પર પાબંદી ફરમાવવામાં આવી છે. ત્યારે દ્વારકાધિશના મંદિરમાં પણ દર્શને આવતા ભાવિકોએ ટુંકા વસ્ત્રો પહેર્યા હશે તો મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે નહીં. મંદિરમાં માન-મર્યાદા જળવાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા હિન્દુ ધર્મનું પ્રમુખ તીર્થઘામ છે. પ્રિતિદિન હજારો ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરતા હોય છે. ત્યારે હવે દ્વારકા મંદિરમાં આવતા ભક્તો પર એક મોટો પ્રતિબંધ મૂકાયો છે. મંદિરમાં આવતા યાત્રિકોને ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. દર્શનાર્થીઓને સુચના આપતું એક બોર્ડ પણ મંદિરની બહાર લગાવવામા આવ્યું છે. ભારતીય સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરેલા હશે તેમને જ દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ મળશે. ભાવિકોની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અંગે તંત્ર દ્વારા અનેક ભાષા સાથે માહિતગાર કરવા બેનરો મંદિરોમાં વિવિધ સ્થળે લગાવવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર, હોટેલ માલિકો, રિક્ષા ચાલકો તેમજ સ્થાનિક નાગરિકો પણ આવતા પ્રવાસીઓને આ નિર્ણય અંગે માહિતગાર કરવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. યાત્રાધામ દ્વારકામાં આવતા યાત્રાળુઓને ભારતીય સંસ્કૃતિ અનુસાર વસ્ત્રો પહેરવા અંગે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સુપ્રિદ્વ અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવા નહીં આવે તેવો નિયમ છે. અંબાજી મંદિર ટ્રસ્ટે મંદિરના પ્રવેશ દ્વાર પર બોર્ડ લગાવીને આ અંગેની માહિતી આપી છે. તો શામળાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી યુવક-યુવતીઓ પાશ્ચાત્ય પહેરવેશના મોહમાં, ફેશનેબલ દેખાવા ટૂંકા કપડાં પહેરીને મંદિરોમાં જાય છે. આવા સમયે યુવક-યુવતીઓને મંદિરમાં જતા રોકવામાં આવતા વિવાદ થાય છે. પરિણામે મંદિરોમાં ભગવાનના દર્શન માટે ડ્રેસ કોડ લાગુ કરવાની ભલામણ સમાજના ચોક્કસ વર્ગમાંથી કરવામાં આવતી હતી. દેશના અનેક મંદિરોમાં એવા નિયમો છે કે, જેમનું શરીર 80 ટકા સુધી ઢંકાયેલું હશે તેમને જ મંદિરમાં પ્રવેશ અપાશે. વિવિધ મંદિરોએ ડ્રેસકોડ પણ લાગુ કર્યો છે. મંદિરના સત્તાવાળાઓ ભક્તોને વિનંતી કરે છે કે, મહેરબાની કરીને ટૂંકાં વસ્ત્રો પહેરીને મંદિરમાં આવતા નહીં. જોકે કોઈ ભાવિક મીની સ્કર્ટ કે બર્મુડા પહેરીને આવી જાય તો કેટલાક મંદિરોમાં પીતાંબર અને ધોતીની વ્યવસ્થા કરવામાં આવી છે. તો મહિલાઓ માટે દુપટ્ટાની વ્યવસ્થા કરવામાં આવે છે.