
જાતિય શોષણનો ભોગ બનેલા લોકો માટે દરેક પોલીસ સ્ટેશનમાં વકિલોની પેનલ બનાવવા ડીજીપીને આદેશ
અમદાવાદઃ રાજ્યમાં જાતિય શોષણના બનાવો વધતા જાય છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે ડિરેકટર જનરલ ઓફ પોલીસને રાજ્યભરના તમામ પોલીસ સ્ટેશનોમાં જાતીય શોષણનો ભોગ બનેલા લોકોની મદદ કરવા માટે વકીલની પેનલ હોય તેની ખાતરી કરવાનો આદેશ આપ્યો છે. 27વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટના નિર્દેશોની અવગણના કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવતા હાઈકોર્ટે આ આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે, રેપ પીડિતોને ગુનાહિત કાર્યવાહીની શરૂઆતથી જ કાયદાકીય પ્રતિનિધિત્વ મળે તેની ખાતરી કરવા માટે તેનો હસ્તક્ષેપ જરૂરી છે.
અપહરણ અને જાતીષ શોષણનો ભોગ બનેલી દીકરીઓના પરિવાર દ્વારા કરવામાં આવેલી હેબિયસ કોર્પસ પર ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરી હતી. જ્યારે છોકરીનું રેસ્કયૂ કરવામાં આવ્યું ત્યારે તે ગર્ભવતી હોવાની જાણ થઈ હતી. પીડિત અને તેના પરિવારથી મંજૂરી મળ્યા બાદ, હાઈકોર્ટે ગર્ભપાત કરાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારે કોર્ટે પીડિતાને આપવામાં આવેલી કાયદાકીય સહાય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તપાસ અધિકારી આવા કોઈ પણ પગલા વિશે અજાણ હોવાનું જાણવા મળ્યું હતું.
જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ અનિદ્ધ માયીની ખંડપીઠે પોલીસ અધિકારીઓને સુપ્રીમ કોર્ટના 1995ના આદેશ વિશે પૂછયું હતું, જેમાં દરેક પોલીસ સ્ટેશનમાં જાતીય ગુનાનો ભોગ બનેલા પીડિતો માટે વકીલની એક પેનલ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પીડિતાના હિતોનું ધ્યાન રાખનારા તે જ વ્યકિતના કેસના અતં સુધી તેનું પ્રતિનિધિત્વ કરે તેની ખાતરી કરીને સતત સહાય સુરક્ષિત કરવા માટે આ વ્યવસ્થાની પરિકલ્પના કરવામાં આવી હતી.
પોલીસ અધિકારી સુપ્રીમ કોર્ટના આદેશોથી અજાણ હોવાથી, હાઈકોર્ટે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશનું ઘણીવાર ઉલ્લંઘન કરવામાં આવે છે. કોર્ટે કહ્યું હતું કે, ‘પોલીસ સ્ટેશનોમાં પેનલમાં સામેલ વકીલોની કોઈ સૂચિ નથી. તેથી, 1995માં જાહેર કરાયેલા આદેશોના અમલ માટે, રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને જણાવવા જરૂરી પરિપત્ર આદેશ સૂચના બહાર પાડવાના હેતુસર ડીજીપીનું ધ્યાન દોરીને સહજતા દાખવવી પણ જરૂરી છે. કેવી રીતે સર્વેાચ્ય અદાલતના આદેશોનું પાલન કરવામાં આવ્યું છે. તે દર્શાવવા માટે હાઈકોર્ટે ડીજીપીને છ અઠવાડિયામાં એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું છે.