અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે હાલ સ્કૂલમાં ધો-6થી 12ના વર્ગો ચાલી રહ્યાં છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન પણ આપવામાં આવી રહ્યું છે. 10મી મેથી ધો-10થી 12ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે. ત્યારે હવે શિક્ષણ બોર્ડ દ્વારા ધો-9 અને 11ની વાર્ષિક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. તા. 7મી જૂનથી ધો-9 અને 11ની પરીક્ષાઓ યોજાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના મહામારીને પગલે 9 મહિના સુધી સ્કૂલો બંધ રહી હતી. જો કે, કોરોનાનું સંક્રમણ ઘટતા ઘીરે-ધીરે સ્કૂલોમાં વર્ગો શરૂ કરવામાં આવ્યાં હતા. હાલ ધો-6થી 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઓફલાઈન એજ્યુકેશનની સાથે ઓનલાઈન એજ્યુકેશન પણ આપવામાં આવી રહ્યું છે. કોરોનાના ભયને પગલે હજુ અનેક વાલીઓ સંતાનોને સ્કૂલમાં મોકલતા ડરી રહ્યાં છે. જેથી આ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન પણ આપવામાં આવી રહ્યું છે. સરકારે આ વર્ષે માસ પ્રમોશન આપવાનો ઈન્કાર કરીને જેટલો પણ અભ્યાસ કરાવ્યો છે. એટલા જ અભ્યાસક્રમની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરમિયાન શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10 અને 12ની પરીક્ષાની તાજેતરમાં જાહેરાત કરી હતી. ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 10મી મેથી શરૂ થશે. ત્યારે હવે ધો-9 અને 11ની વાર્ષિક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગે જાહેર કરેલી તારીખો પ્રમાણે ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 19 માર્ચથી 27 માર્ચ સુધી લેવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત શિક્ષણ વિભાગની માહિતી પ્રમાણે ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષાનું આયોજન જૂન મહિનામાં કરવામાં આવશે. આ વર્ષે 7 જૂનથી ધોરણ 9 અને 11ની પરીક્ષા શરૂ થશે. જેને 15 જૂન સુધી પૂર્ણ કરી દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું હોવાથી સરકાર દ્વારા આગામી દિવસોમાં ધો-1થી 5ના વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.