
નવસારી કૃષિ યુનિના દીક્ષાંત સમારોહમાં પ્રાકૃતિક ખેતીના સંશોધન માટે હિમાયત કરતા રાજ્યપાલ
ગાંધીનગરઃ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે સત્તરમો પદવીદાન સમારોહ યુનિવર્સિટીના સેન્ટ્રલ એકઝામીનેશન હોલ ખાતે ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં વર્ચુઅલ માધ્યમથી યોજાયો હતો. તેમની સાથે ગુજરાત રાજયના કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ જોડાયા હતાં.
ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે નવસારી કૃષિ યુનિવર્સિટીના ૧૭ માં દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને શુભકામના પાઠવી સમર્થ અને સશકત રાષ્ટ્રનાં નિર્માણમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો. રાજયપાલએ કૃષિ વૈજ્ઞાનિકોને આહવાન કરતાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે કૃષિ વૈજ્ઞાનિકો પ્રાકૃતિક કૃષિક્ષેત્રે નૂતન ઇનોવેશન-સંશોધનો કરી, કૃષિ સમૃદ્વિનો નવો માર્ગ કંડારે.
રાજયપાલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે હરક્ષેત્રમાં વિકાસલક્ષી પરિવર્તન આવી રહયું છે ત્યારે કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સમયની માંગ અને પડકારોને મૂલવી પરિવર્તન માટે સજજ થવું પડશે. તેમણે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા બાદ ખાદ્યાન્ન ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે રાસાયણિક કૃષિ દ્વારા હરિત-ક્રાંતિ સમયની માંગ હતી. કૃષિ વૈજ્ઞાનિકોએ આ માટે અથાક પ્રયાસો પણ કર્યા, પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહયાં છે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના અંધાધુંધ ઉપયોગથી જળ, જમીન અને પર્યાવરણ પ્રદુષિત થઇ રહયાં છે. જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. કૃષિ ખર્ચ સતત વધી રહયો છે અને ઉત્પાદન ઘટતું રહયું છે. જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. ખેતી અને ખેડૂતની સમૃદ્વિ માટે રાસાયણિક કૃષિના વિકલ્પને શોધવો આજના સમયની માંગ છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે અપનાવવાથી કૃષિક્ષેત્રે નવી ક્રાંતિ આવશે.
ગુજરાતમાં બે લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જાડાયાં છે તેનો ઉલ્લેખ કરી રાજયપાલએ જણાવ્યું હતું કે, રાજય સરકારની પ્રોત્સાહક નીતિને કારણે ગુજરાતના પ્રાકૃતિક કૃષિ જનઆંદોલનને નવું બળ મળ્યું છે. ડાંગ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ સંપન્ન જિલ્લો જાહેર થવાના કારણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા નવી પ્રેરણા મળી છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ઉદ્યમી જગતના તાતની આવક વધે તથા કૃષિક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે રાજય સરકાર પગલાં લઇ રહી છે. પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ બન્યું છે. આત્મ નિર્ભર ભારત માટે કૃષિ અને કૃષિકારો આત્મ નિર્ભર બને તે જરૂરી છે. સરકાર દ્વારા કૃષિકારોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલી છે.
પ્રારંભમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઝેડ.પી.પટેલે સ્વાગત પ્રવચન કરી યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યવાહીની ઝાંખી કરાવી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા દાંડી ખાતે યોજાયેલી ત્રિ-દિવસીય પ્રાકૃતિક ખેતીની કાર્યશાળાનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે રાજયની વિવિધ કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ વિવિધ ફેકલ્ટીઓના વડાઓ, પ્રાધ્યાપકઓ, વૈજ્ઞાનિકો, સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયાં હતા.