1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા હવે ભણાવાશે હિન્દુત્વના પાઠ, MA IN HINDU કોર્સ શરૂ કરાશે

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા હવે ભણાવાશે હિન્દુત્વના પાઠ, MA IN HINDU કોર્સ શરૂ કરાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ( જીટીયુ ) વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે. ટેક્નોલોજી , ઈનોવેશન , સ્ટાર્ટઅપ , સામાજીક દાયિત્વ, આપણી પૌરાણીક વેદ પ્રણાલી અને ભારતીય સંસ્કૃતિથી પણ વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે અર્થે, જીટીયુ દ્વારા સમયાંતરે વિવિધ કોર્સ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાને લઈને જીટીયુ સંચાલિત ધરોહર સેન્ટર ફોર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ દ્વારા આગામી ઑગસ્ટ માસથી 2 વર્ષ માટેનો અનુસ્નાતક કોર્સ એમ.એ. ઈન હિન્દુ સ્ટડીઝ શરૂ કરાશે.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , આજની યુવા પેઢી આપણી પરંપરા અને સંસ્કૃતિથી અવગત થાય અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પરિપ્રેક્ષમાં જીટીયુ દ્વારા આ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કોર્સ શરૂ કરનારી જીટીયુ સમગ્ર દેશની ચોથી યુનિવર્સિટી છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે રસ ધરાવતાં વિદ્યાર્થીઓને સત્વરે પ્રવેશ મેળવી લેવા માટે જણાવ્યું છે. ગુજરાતના વિદ્યાર્થીઓ હવે GTU માં આ કોર્ષ કરી શકશે. આ સંદર્ભે ધરોહર સેન્ટરના ઓએસડી ડૉ. શ્રૃતિ આણેરાવે જણાવ્યું હતું કે , વર્ષ 2021 થી ધરોહર સેન્ટર ભારતીય જ્ઞાન પરંપરાનાં અભ્યાસક્રમોની અત્યાર સુધી 20 થી વધુ કોર્સીસની બે બેચ પૂર્ણ કરી ચૂક્યું છે, દેશ – વિદેશોમાંથી વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ તમામ અભ્યાસક્રમોમાં સાંપડ્યો છે. આગામી ઑગસ્ટથી જીટીયુ ધરોહર સેન્ટર અનુસ્નાતક અભ્યાસક્રમો શરૂ કરવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લક્ષ્યમાં રાખીને એમ.એ ઈન. હિન્દુ સ્ટડીઝ વિષયમાં 10 સીટો પર પ્રવેશ પ્રકિયા આગામી 15 જુલાઈથી શરૂ કરવામાં આવશે.

આ પ્રકારનો કોર્સ બનારસ હિન્દુ યુનિવર્સિટી અને નાલંદા યુનિવર્સિટીમાં હાલના સમયે કાર્યરત છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓને ત્યાં સુઘી જવું ના પડે તે અર્થે જીટીયુ દ્વારા આ કોર્સનો શુભારંભ કરાશે. અભ્યાસક્રમ દરમિયાન સંસ્કૃતના વિદ્વાન તજજ્ઞો જેવા કે , પ્રો. કમલેશ ચોક્સી , પ્રો. વસંત ભટ્ટ , ડૉ. મીહિર ઉપાધ્યાય રીસોર્સ પર્સન તરીકે સેવાઓ આપશે. વેસ્ટર્ન થીયરી માટે પ્રો. અતનુ મહોપાત્રા અને ડૉ. શ્રૃતિ આણેરાવ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. આ અભ્યાસક્રમ થકી વિદ્યાર્થીઓ ભારત સહિત વૈશ્વિક સ્તરે ભારતીય જ્ઞાન પરંપરાના ઉભરતા ક્ષેત્રમાં રોજગારીની તકો મેળવી શકશે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code