ઈમરાન ખાનને ઈસ્લામાબાદની હાઈટેક જેલમાં ખસેડાશે, અંદર જ હશે અત્યાધુનિક હોસ્પિટલ
ઈસ્લામાબાદ, 14 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ના સ્થાપક અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે ચાલી રહેલી ચિંતાઓ વચ્ચે પાકિસ્તાન સરકારે મોટો નિર્ણય લીધો છે. ગૃહમંત્રી મોહસિન નકવીએ જાહેરાત કરી છે કે ઈમરાન ખાનને ટૂંક સમયમાં ઈસ્લામાબાદમાં નિર્મિત નવી ‘મોડર્ન જેલ’માં શિફ્ટ કરવામાં આવશે. આ જેલ સંકુલમાં જ તમામ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મોહસિન નકવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજધાનીમાં એક આધુનિક જેલ સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. જેલમાં એક વિશેષ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે, જ્યાં વિવિધ રોગોની સારવાર માટે સ્પેશિયલાઇઝ્ડ ડિપાર્ટમેન્ટ્સ હશે. આ સુવિધાનો મુખ્ય હેતુ એ છે કે કેદીઓને સારવાર માટે વારંવાર જેલની બહાર લઈ જવાની જરૂર ન પડે અને જેલ પરિસરમાં જ શ્રેષ્ઠ મેડિકલ કેર મળી રહે. આ નવી જેલ આગામી બે મહિનામાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે, ત્યારબાદ ઈમરાન ખાનનું શિફ્ટિંગ કરવામાં આવશે.
નવી મોડલ જેલમાં સુરક્ષાના અત્યંત કડક ધોરણો અપનાવવામાં આવ્યા છે. તેમાં લેયર્ડ સર્વેલન્સ , કંટ્રોલ્ડ-એક્સેસ ઝોન અને હાઈ-રિસ્ક કેદીઓ માટે મજબૂત પેરિમીટર સેફગાર્ડ જેવી સુવિધાઓ હશે. બીજી તરફ, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલો એક મેડિકલ રિપોર્ટ ખળભળાટ મચાવી રહ્યો છે. એડવોકેટ સલમાન સફદર દ્વારા તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, “જેલ પ્રશાસનની બેદરકારીને કારણે ઈમરાન ખાનની આંખોની રોશનીને કાયમી નુકસાન થયું છે, જે હવે સુધારી શકાય તેમ નથી.” રિપોર્ટમાં સૈન્ય એસ્ટાબ્લિશમેન્ટ પર ગંભીર આક્ષેપ કરતા જણાવાયું છે કે, કોઈ પણ ફોરેન્સિક પુરાવા છોડ્યા વિના પીટીઆઈ સ્થાપકને શારીરિક રીતે નુકસાન પહોંચાડવાનો આ એક સુનિયોજિત પ્રયાસ છે.
આ પણ વાંચોઃ ટી20 વિશ્વકપઃ ભારત-પાકિસ્તાનની મેચમાં સ્પીનરોનો રહેશે દબદબો


