રાજ્યમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો ની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી
નવી દિલ્હી 01 જાન્યુઆરી 2026ઃ ગુજરાતમાં સહકારી માળખાને વધુ મજબૂત બનાવવા અને છેવાડાના ખેડૂતો સુધી બેંકિંગ સુવિધાઓ પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCB)ની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે આ નિર્ણય નરેન્દ્ર મોદી તથા અમિત શાહના માર્ગદર્શન હેઠળ લેવામાં આવ્યો છે. ગ્રામ્ય સહકારી બેંકોનો વ્યાપ વધારવા માટે નાબાર્ડ (NABARD) દ્વારા રજૂ કરાયેલી ‘એપ્રોચ નોટ’ના આધારે આ નવી બેંકો સ્થાપિત કરવામાં આવશે.
હાલની બેંકોનું વિભાજન, નવા જિલ્લાઓમાં સ્વતંત્ર બેંકો
રાજ્યની મોટી જિલ્લા સહકારી બેંકોનું વિભાજન કરીને નવા જિલ્લાઓમાં અલગ-અલગ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો કાર્યરત થશે.
હાલની બેંક → નવી બનનારી જિલ્લા બેંક
પંચમહાલ બેંક → અરવલ્લી જિલ્લા બેંક
સાબરકાંઠા બેંક → અરવલ્લી જિલ્લા બેંક
સુરત બેંક → તાપી જિલ્લા બેંક
વડોદરા બેંક → છોટાઉદેપુર જિલ્લા બેંક
જામનગર બેંક → દેવભૂમિ દ્વારકા જિલ્લા બેંક
જૂનાગઢ બેંક → પોરબંદર જિલ્લા બેંક
ખેડા બેંક → આણંદ જિલ્લા બેંક
વલસાડ બેંક → ડાંગ અને નવસારી જિલ્લા બેંક
ખેડૂતોને શું ફાયદો થશે?
સરળ ધિરાણ: નવા જિલ્લાઓમાં પોતાની સ્વતંત્ર બેંક હોવાથી લોન અને અન્ય ધિરાણ પ્રક્રિયા સરળ બનશે.
સ્થાનિક સ્તરે સુવિધા: હવે ખેડૂતોને બેંકિંગ કામકાજ માટે મોટા જિલ્લાઓના મથક સુધી લાંબુ અંતર કાપવું નહીં પડે.
ગ્રામ્ય અર્થતંત્રને વેગ: સ્થાનિક સ્તરે નાણાકીય લેવડદેવડ વધતા ગામડાં અને જિલ્લાનું અર્થતંત્ર મજબૂત બનશે.
આગળની પ્રક્રિયા શું છે?
રાજ્ય મંત્રીમંડળની મંજૂરી બાદ હવે રાજ્ય સરકાર નાબાર્ડ મારફતે આ પ્રસ્તાવ ભારતીય રિઝર્વ બેંક (RBI)ને મોકલશે. RBIની અંતિમ મંજૂરી અને લાયસન્સ મળ્યા બાદ આ તમામ નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો વિધિવત રીતે કાર્યરત થશે.
રાજ્ય સરકારનો આ નિર્ણય ગુજરાતમાં સહકારિતા ક્ષેત્ર અને ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ અને દીર્ઘકાળીન પગલું માનવામાં આવી રહ્યો છે.
વધુ વાંચો: કાંકરિયા કાર્નિવેલનું સમાપન, 7 દિવસમાં 8 લાખથી વધુ લોકોએ મુલાકાત લઈ મોજ માણી


