
આજે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન સામસામે ટકરાશે, મેચ જોવા દર્શકો ઉત્સાહિત
અમદાવાદઃ ક્રિકેટ પ્રેમીઓના ઈંતઝારનો આજે અંત આવશે, વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર સામસામે ટકરાશે, આ મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિતેલા દિવસથી જ સ્ટેડિયમમાં આવવા માટે લોકો અમદાવાદ આવી રહ્યા છે જેને લઈને અનેક રસ્તાઓ પર ટ્રાફિક્ અરપોર્ટ પર ટ્રાફિક જોવા મળ્યું હતું.
આ વર્લ્ડ કપમાં રમી રહેલી પાકિસ્તાની ટીમના માત્ર ત્રણ ક્રિકેટર, કેપ્ટન બાબર આઝમ, ઈફ્તિખાર અહેમદ અને મોહમ્મદ નવાઝ આ પહેલા ભારતની મુલાકાતે આવ્યા છે. ત્રણેય 2016 ટી-20 વર્લ્ડ કપ રમવા આવેલી ટીમના સભ્યો હતા. આ સિવાય સૌ પ્રથમ વખત ભારત આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારત કરતાં પાકિસ્તાન પર વધુ દબાણ હશે. સૌથી પહેલા તેણે અમદાવાદમાં 1.25 લાખથી વધુ દર્શકો સામે રમવાનું રહેશે. જો કે પાકિસ્તાને આ વર્લ્ડ કપમાં સૌથી મોટા સ્કોરનો પીછો કરીને શ્રીલંકાને હરાવ્યું હતું અને નેધરલેન્ડ્સ સામે પણ મોટી જીત મેળવી હતી, પરંતુ તેની ખરી કસોટી આ મેચમાં થશે
પ્રાપ્ત માહિતી પ્રમાણે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 1 લાખ 32 હજાર દર્શકોની વચ્ચે શનિવારે વિશ્વ કપમાં આ બંને પાડોશી દેશો આઠમી વખત ટકરાશે.એટલે કે ભારત-પાકિસ્તાન વચ્ચેની જંગી હરીફાઈ માટે મંચ તૈયાર થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની છેલ્લી સાત મેચમાં ભારતનો ઈતિહાસ શાનદાર રહ્યો છે.ભારતે આ તમામ સાત મેચ જીતી છે. રોહિત શર્માની ટીમ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સતત આઠમી જીત મેળવવાનું લક્ષ્ય રાખશે. જો કે આ શાનદાર મેચ પર વરસાદનો પડછાયો પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગનું અનુમાન છે કે મેચ દરમિયાન વરસાદ પડી શકે છે.
ભારતની ધરતી પર બંને દેશો વચ્ચે આ ત્રીજી વર્લ્ડ કપ મેચ છે. અગાઉ, બંને 1996માં બેંગલુરુ (ક્વાર્ટર ફાઈનલ) અને 2011માં મોહાલીમાં (સેમિફાઈનલ) ટકરાયા હતા, જ્યાં ભારત જીત્યું હતું.
આજની મેચમાં ડેન્ગ્યુમાંથી સાજા થયેલા શુભમન ગિલ સિવાય ભારતીય ટીમ સંતુલિત દેખાઈ રહી છે. ગિલે નેટ પર પ્રેક્ટિસ પણ કરી હતી, પરંતુ તેના રમવા પર હજુ પણ સસ્પેન્સ છે. જોકે, કેપ્ટન રોહિત શર્માએ નિશ્ચિતપણે કહ્યું છે કે શુભમન ગિલ રમવા માટે 99 ટકા તૈયાર છે. જો તે રમે છે, તો તેની પાસેથી અપેક્ષા રાખવામાં આવશે કે તેણે એશિયા કપમાં પાકિસ્તાન સામે જે ફોર્મ બતાવ્યું હતું.
tags:
india and pakistan