
ભારતનું અર્થતંત્ર ખૂબ ઝડપથી વિકાસ કરી રહ્યું છેઃ પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દેશને સંબોધિત કર્યો હતો.તેમણે પોતાના પ્રથમ સંબોધનમાં મહિલાઓના અધિકારથી લઈ આદિવાસી સમુદાયના યોગદાન વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે કોરોનાના સમયે જ્યારે સમગ્ર વિશ્વ સંકટનો સામનો કરી રહ્યું હતું ત્યારે ભારત સ્થિતિને કાબૂમાં લઈ રહ્યું હતું. હવે ભારત વિશ્વમાં સૌથી ઝડપભેર આગળ વધતા અર્થતંત્રો પૈકીનું એક છે.
કોરોનાના સમયની વાત કરતાં રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આપણે દેશમાં તૈયાર કરવામાં આવેલી વેક્સિન સાથે માનવ ઈતિહાસનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન શરૂ કર્યું. ગયા મહિને આપણે 200 કરોડ વેક્સિનના કવરેજનો આંકડો પાર કરી લીધો. મહામારીનો સામનો કરવામાં આપણી ઉપલબ્ધિઓ વિશ્વના વિકસિત દેશોની તુલનામાં ઘણી સારી રહી છે.રાષ્ટ્રપતિએ કહ્યું કે મોટાભાગના લોકશાહી દેશોમાં મહિલાઓને મતદાન કરવાનો અધિકાર લાંબા સંઘર્ષ બાદ પ્રાપ્ત થયો હતો, જ્યારે ભારતમાં ગણતંત્રની શરૂઆતથી સાર્વભૌમિક પુખ્ત મતાધિકારને અપનાવવામાં આવ્યો છે. તેનાથી શરૂઆતથી જ મહિલાઓને મતદાનનો અધિકાર મળ્યો છે. રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે દેશ દીકરીઓ પ્રત્યે ઘણીબધી આશા ધરાવે છે. આ દેશની દીકરીઓ જ્યારે પણ યોગ્ય તક મળે છે ત્યારે શાનદાર સફળતા હાંસલ કરે છે. આજે દીકરીઓ ફાઈટર પાયલટથી લઈ અવકાશ વૈજ્ઞાનિક તરીકે કામ કરી પરચમ લહેરાવી રહી છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશના દરેક નાગરિકને મારી વિનંતી છે કે પોતાના મૂળ કર્તવ્યો (ફરજો) અંગે જાણે, તેનું પાલન કરે, જેથી આપણો દેશ નવી ઊંચાઈને સ્પર્શી શકે. આજે દેશમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને અર્થતંત્ર તથા તેની સાથે જોડાયેલ અન્ય ક્ષેત્રોમાં કે જે સારા જોવા મળી રહ્યા છે તેના મૂળમાં સુશાસન અંગે વિશેષ ભાર આપવાની મુખ્ય ભૂમિકા છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણે સંસ્થાનવાદી શાસનની બેડીઓ કાપી નાખી. તે શુભ દિવસની વર્ષગાંઠની ઉજવણી કરતી વખતે આપણે તમામ સ્વતંત્રતા સેનાનીઓને આદરપૂર્વક વંદન કરીએ છીએ. તેમણે દરેક વસ્તુનું બલિદાન આપ્યું જેથી આપણે બધા સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ શકીએ.