1. Home
  2. ગુજરાતી
  3. ભારત 90 ટકા સ્વદેશી ગોળા-બારૂદ સાથે દુશ્મનોને જવાબ આપશે
ભારત 90 ટકા સ્વદેશી ગોળા-બારૂદ સાથે દુશ્મનોને જવાબ આપશે

ભારત 90 ટકા સ્વદેશી ગોળા-બારૂદ સાથે દુશ્મનોને જવાબ આપશે

0
Social Share

નવી દિલ્હી, 1 જાન્યુઆરી 2026: મે 2025માં ‘ઓપરેશન સિંદૂર’ ભલે ચાર દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું હોય, પરંતુ બદલાતા વૈશ્વિક સંજોગો વચ્ચે ભારતીય સેના હવે લાંબા ગાળાના યુદ્ધ માટે પોતાને સજ્જ કરી રહી છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે સેનાએ વિદેશી ગોળા-બારૂદ પરની નિર્ભરતા ઘટાડી દીધી છે. હવે ભારતીય સેના 90 ટકા જેટલો સ્વદેશી દારૂગોળો વાપરી રહી છે, જે ‘આત્મનિર્ભર ભારત’ની દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ છે.

  • ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ રૂ. 16,000 કરોડના ઓર્ડર

સેનાની ખરીદ પ્રક્રિયાને સરળ અને સ્પર્ધાત્મક બનાવવામાં આવતા ઘરેલું કંપનીઓ મોટા પાયે સંરક્ષણ ક્ષેત્રે આગળ આવી છે. હાલમાં વિવિધ તબક્કે રૂ. 16,000 કરોડના ઓર્ડર પ્રક્રિયા હેઠળ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય કંપનીઓને રૂ. 26,000 કરોડના ગોળા-બારૂદના ઓર્ડર આપવામાં આવ્યા છે. ભારતીય સેના આશરે 200 પ્રકારના ગોળા-બારૂદ અને સચોટ હથિયારોનો ઉપયોગ કરે છે, જેમાંથી મોટાભાગના હવે ભારતમાં જ બને છે.

એક સમય એવો હતો જ્યારે તત્કાલીન સેના પ્રમુખે સરકારને પત્ર લખીને ચેતવણી આપી હતી કે સેના પાસે માત્ર 10 દિવસ ચાલે તેટલો જ દારૂગોળો બચ્યો છે. જોકે, છેલ્લા 10 વર્ષમાં ભારતનો ‘વોર-રિઝર્વ સ્ટોર’ અનેકગણો વધી ગયો છે. અગાઉ માત્ર સરકારી ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ પર નિર્ભરતા હતી, પરંતુ હવે અદાણી ડિફેન્સ, સોલર ઇન્ડસ્ટ્રીઝ, SMPP અને ભારત ફોર્જ જેવી 20થી વધુ ખાનગી કંપનીઓ સેના માટે હથિયારો અને ગોળા-બારૂદ બનાવી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ આતંકી ઘટનાને હવે યુદ્ધ સમાન ગણવામાં આવશે અને તે મુજબ જ વળતો પ્રહાર થશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને સૈન્ય નેતૃત્વએ પણ આહ્વાન કર્યું છે કે ભારત ક્યારેય યુદ્ધનું પક્ષધર રહ્યું નથી, પરંતુ જો પહેલગામ હુમલા જેવી કોઈ ઘટના દ્વારા ભારતને ઉશ્કેરવામાં આવશે, તો દુશ્મનને કોઈ પણ કિંમતે છોડવામાં આવશે નહીં.

દીર્ઘકાલીન યુદ્ધની તૈયારીઓ માટે ગોળા-બારૂદ બનાવતી મોટી ખાનગી કંપનીઓને આગામી 7 થી 10 વર્ષ સુધી સતત ઓર્ડર આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. આ નીતિને કારણે રોકાણકારો અને ઉદ્યોગોમાં વિશ્વાસ વધ્યો છે. સેના હવે માત્ર આધુનિક હથિયારો સુધી સીમિત નથી, પરંતુ લાંબા સમય સુધી લશ્કરી અભિયાનોને ચલાવવાની લોજિસ્ટિક ક્ષમતા પણ વિકસાવી રહી છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીરે ભારતને આપી ગર્ભિત ધમકી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code