
- પીએનબી કૌંભાડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીએ આપ્યું નિવેદન
- હું ભારતીય એજન્સીઓના ડરથી દેશ છોડીને ભાગ્યો નથી
- મે સારવાર અર્થે દેશ છોડ્યો છે
નવી દિલ્હી: પીએનબી કૌંભાડના મુખ્ય આરોપી અને ડોમિનિકામાં પ્રત્યાર્પણના કેસનો સામનો કરી રહેલા આર્થિક ભાગેડૂ અપરાધી મેહુલ ચોક્સીએ નિવેદન આપ્યું છે. મેહુલ ચોક્સીએ કહ્યું કે, તે ભારતીય એજન્સીઓના ડરથી દેશ છોડીને ફરાર નથી થયો પરંતુ તેણે સારવાર અર્થે દેશ છોડ્યો છે. તેણે પોતાને કાયદાનું સન્માન કરતો નાગરિક પણ ગણાવ્યો છે. તેણે કહ્યું કે તે ભારતીય એજન્સીઓના કોઇપણ સવાલના જવાબ આપવા માટે તૈયાર છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, મેહુલ ચોક્સીએ ડોમિનિકા હાઇકોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું કે, મેં ભારતીય અધિકારીઓને મારુ ઇન્ટરવ્યૂ લેવાનું અને કોઇપણ તપાસ અંગે કોઇપણ સવાલ પૂછવા કહ્યું છે. મેહુલ ચોક્સીએ ઉમેર્યુ હતું કે, હું ભારતીય એજન્સીઓનો ભાગ્યો નથી. જ્યારે અમેરિકામાં સારવાર અર્થે મે દેશ છોડ્યો ત્યારે મારી સામે કોઇ વોરંટ નહોતું.
Mehul Choksi એ 3 જૂને ડોમિનિકા હાઈકોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું છે કે તેને ભાગવાની ઇચ્છા નથી. તેણે એવો દાવો પણ કર્યો હતો કે ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ (Red Corner Notice) આંતરરાષ્ટ્રીય વોરંટ નથી, પરંતુ શરણાગતિ માટેની અપીલ છે.
મેહુલ ચોકસી સામે ફરિયાદી કરવામાં આવી હતી અને તે ફરી ભાગી છુટશે તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ આરોપ બાદ Mehul Choksi એ આ સોગંદનામું દાખલ કર્યું છે.મેહુલ ચોક્સીએ કોર્ટને ખાતરી આપવાનો પણ પ્રયાસ કર્યો છે કે જ્યાં સુધી કોર્ટ તેમને એન્ટિગુઆ પરત ફરવા દેશે નહીં ત્યાં સુધી તે ક્યાંય જશે નહીં અને ભાગી જવાનું તેનું મન પણ નથી.
નોંધનીય છે કે, પંજાબ નેશનલ બેંક (PNB) ના 13,500 કરોડના કૌભાંડના સૂત્રધાર મેહુલ ચોક્સીને સરકારે ભાગેડુ જાહેર કર્યો છે. મેહુલ ચોક્સીનું નામ નીરવ મોદી (Nirav Modi) ના નામ સાથે જ બહાર આવ્યું હતું. જો કે તે પૂર્વે તેમણે ફેબ્રુઆરી 2018માં ભારત છોડી દીધું હતું.