
હિજાબ પહેરવો અનિવાર્ય હોવાનું ક્યાંય નથી લખ્યું: મુંબઈની ઝુમ્મા મસ્જિદના મુફ્તિનો અમનનો સંદેશ
મુંબઈઃ કર્ણાટકમાં શરૂ થયેલો હિજાબનો વિવાદના પડઘા દેશના વિવિધ રાજ્યોમાં પડી રહ્યાં છે. દરમિયાન દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈની જાણીતી ઝુમ્મા મસ્જિદએ એક સકારાત્મક પહેલ કરી છે. ઝુમ્માની નમાઝ પહેલા અને બાદમાં શાંતિ અને અમન જાળવી રાખવાનો સંદેશ આપ્યો છે. મસ્જિદના મુફતીએ કહ્યું હતું કે, હિજાબ ક્યારે પણ મુદ્દો નથી, હિજાબ પહેરવો અનિવાર્ય છે એવું ક્યાંય લખ્યું નથી.
સુત્રોના જણાવ્યા અનુસાર મુંબઈની ઝુમ્મા મસ્જિદમાં ઝુમ્માની નમાઝ માટે હજારોની સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો આવ્યાં હતા. નમાઝ પહેલા કહેવામાં આવ્યું હતું કે, કાનૂનની પ્રક્રિયા હેઠળ આગળ વધવું જોઈએ. ખોટી રીતે મામલાને આગળ ના વધારવો જોઈએ અને અમનો સંદેશ આપવો જોઈએ. જે વિવાદ ચાલી રહ્યો છે તેનાથી બચવું જોઈએ. મસ્જિદમાં હિન્દી અને અરબી એમ બે ભાષામાં સંદેશ આપવામાં આવ્યો હતો. મસ્જિદના મુફ્તીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જે રીતે પ્રદર્શન થઈ રહ્યાં છે તે યોગ્ય નથી. કાયદો છે અને સંવિધાન છે. તેનું પાલન કરવું જોઈએ. જેથી અમે સતત શાંતિનો સંદેશ આપી રહ્યાં છીએ. કોઈને જબરજસ્તીથી હિજાબ ના પહેરાવવો જોઈએ અને હિજાબ ઉતારવા માટે પણ કહી ના શકાય.
મસ્જિદમાંથી કરવામાં આવેલી જાહેરાતની અસર નમાઝ અદા કરવા આવેલા લોકો ઉપર પણ જોવા મળી હતી. તેમજ અંદર-અંદર ચર્ચા કરતા હતા કે, હિજાબ મુદ્દો નથી કાયદો જે કહેશે તેનું પાલન કરવામાં આવશે. મસ્જિદમાંથી જે જાહેરાત કરવામાં આવી છે તે યોગ્ય છે અને તેનું માન રાખવામાં આવશે. આમ મુંબઈની મસ્જિદ દ્વારા મામલાને શાંત પાડવાની દિશામાં પગલા ભરવામાં આવી રહ્યાં છે.