
સમુદ્રમાં ‘જવાદ’ તોફાન નબળું પડતા લોકોને રાહત, વાંચો વધારે જાણકારી
- સમુદ્રમાં ‘જવાદ’ તોફાન નબળું પડ્યું
- લોકોને મળી રાહત
- જાણો શું છે અત્યારે હાલની સ્થિતિ
પુરી: બંગાળની ખાડીમાં સર્જાયેલા તોફાન ‘જવાદ’ને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર સમુદ્રમાં જ જવાદ નામનું વાવાઝોડુ નબળુ પડી ગયું છે, જેને કારણે અત્યારે લોકોમાં રાહત છે. જાણકારી અનુસાર ઓડિશાના તમામ સમુદ્રી કિનારે આવેલા જિલ્લાઓની સાથે સાથે રાજધાની ભૂવનેશ્વર તેમજ કટકમાં ભારે વરસાદ અને પવનને કારણે જનજીવન પર ખરાબ અસર જોવા મળી હતી.
હવામાન વિભાગના જાણકારો દ્વારા એવુ અનુમાન લગાવવામાં આવ્યું છે કે તે ઓડિશાને છોડીને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી શકે છે. ઓડિશામાં વાવાઝોડાને પગલે અનેક જિલ્લામાં 150 મિમીથી વધુ વરસાદ પડયો હતો. જ્યારે સમુદ્રમાં હજુ પણ 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો છે. જેને પગલે માછીમારી ન કરવા જવાની માછીમારોને સુચના આપવામાં આવી છે.
જવાદ નામનું વાવાઝોડુ ઓડિશાના ગોપાલપુરથી 90 કિમી દુર અને પુરીથી 120 કિમી દુર સમુદ્રમાં સક્રિય છે અને 20 કિમી પ્રતિ કલાકની ઝડપથી તે પુરી તરફ આવી રહ્યું હતું, જોકે તેની ગતી અગાઉ કરતા ધીમી પડી ગઇ હતી. વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી હતી, અહીંના દક્ષિણ બંગાળમાં ભારે વરસાદ પડયો હતો. ખાસ કરીને કોલકાતામાં ભારે વરસાદ થયો હતો. જે વિસ્તારોમાં હાલ વરસાદ અને પવન ફૂંકાઇ રહ્યો છે ત્યાં ન જવાની પર્યટકોને સૂચના આપવામાં આવી છે.