
અમદાવાદઃ ગુજરાતમાં કેટલાક વેપારીઓ ટેક્સચોરીમાં માહેર હોય છે. ત્યારે ટેક્સચોરી સામે એસજીએસટી વિભાગે ઝૂંબેશ હાથ ધરી છે. એસજીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ દ્વારા આઈટીસી પાસ ઓન કરતા કેટલાક ટેક્સચોરોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોએ જેમને બોગસ બિલ આપ્યા હતા, તેવાં લોકોને રાજ્યમાંથી શોધી 56 સ્થળોએ જીએસટીની ટીમે સાગમટે દરોડા પાડીને 41 પેઢીઓને ત્યાંથી કરચોરી પકડી પાડી હતી. અત્યાર સુધીમાં એસજીએસટીએ બોગસ બિલિંગમાં 90ની ધરપકડ કરતા ટેક્સચોરોમાં ભારે ફફડાટ વિયાપી ગયો હતો.
એસજીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટેક્સચારી સામે એસજીએસટી વિભાગે અમદાવાદ, ભાવનગર, સુરતમાં દરોડા પાડ્યા હતા. જેમાં બોગસ પેઢીઓ બનાવીને તે પેઢીમાં બોગસ બિલિંગ દ્વારા આઇટીસી પાસ ઓન કરતા હતા. આ બોગસ બિલિંગ લેનારાઓના સ્થળે તપાસ કરાઈ હતી. જેમાં 41 પેઢીઓએ કરચોરી કરી હતી. જેને લઇને એસજીએસટીએ રાજ્યમાં 56 જગ્યાએ સાગમટે દરોડા પાડયા હતા. તપાસમાં મોટા પાયે કરચોરી સામે આવી છે. જેમાં અમદાવાદ સહિત ભાવનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, વાપી, રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢ અને ગાંધીધામની 41 પેઢીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરમાં સ્ક્રેપનો અને સ્ટીલનો વ્યવસાય કરતી કેટલીક પેઢીઓ દ્વારા બોગસ બિલિંગ કરીને કરચોરી કરી હોવાનું અન્વેષણ વિભાગના ધ્યાનમાં આવ્યું હતું. જેથી અમદાવાદની આ 9 પેઢીઓને ત્યાં દરોડા પાડતા મોટા પ્રમાણમાં કરચોરી કરી હોવાના દસ્તાવેજ મળ્યા હતા. છેલ્લાં કેટલાક સમયથી બોગસ બિલિંગ સાથે સંકળાયેલા લોકો અને પેઢીઓ પકડી પાડવામાં એસજીએસટીની ટીમને સફળતા મળી હતી. પકડાયેલા લોકો પાસેથી મળી આવેલા દસ્તાવેજના આધારે કોણે બોગસ બિલ લીધા છે તેની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એસજીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યાર સુધીમાં 90 જેટલા લોકોને બોગસ બિલિંગના કેસમાં ધરપકડ કરી હતી અને તેમની પાસેથી મળેલા દસ્તાવેજોની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે.