
ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં 2800થી વધારે વ્યક્તિઓના મૃત્યુ
નવી દિલ્હીઃ ઈસરાયલ અને હમાસ વચ્ચે આજે શુક્રવારે યુદ્ધ ચાલી રહ્યું છે, અત્યાર સુધીમાં 2800થી વધારે લોકોના મૃત્યુ થયાં છે. જેમાં 1300થી વધારે વ્યક્તિઓ ઈઝરાયલી નાગરિક છે. જ્યારે ગાઝા પટ્ટીમાં 1500થી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. જ્યારે ઈઝરાયલે અત્યાર સુધીમાં 1500થી વધારે હમાસના આતંકવાદીઓને ઠાર માર્યાં છે. દરમિયાન ઈઝરાયલની સેનાએ ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલા બાદ હવે જમીની લડાઈ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ઈરાનએ સંયુક્ત રાષ્ટ્ર મિશનને ચેતવણી આપી છે કે, જો ઈસરાયલ પોતાની બોમમારી બંધ નહીં કરે તો અન્ય મોરચે પણ યુદ્ધ શરૂ થવાની શકયતા છે. જો કે, ઈરાન પ્રારંભથી જ હમાસ સાથે જોવાનો ઈન્કાર કરી રહ્યું છે.
ઈસરાયલએ હમાસ ઉપર આરોપ લગાવ્યો છે કે, 150 ઈઝરાયલીઓને હમાસે બંધક બનાવી રહ્યાં છે. જ્યાં સુધી તેમને મુક્ત નહીં કરવામાં આવે તો પોતાની ઘેરાબંધી નહીં હટાવે. દરમિયાન ઈઝરાયલે હમાસે કરેલા હુમલામાં મૃત્યુ પામેલા બાળકો અને મહિલા સહિતના નાગરિકોના ફોટોગ્રાફ જાહેર કર્યાં છે. તેમજ હમાસનો આતંકવાદી ચહેરો દુનિયા સમક્ષ જાહેર કરી રહ્યાં છે. હમાસે ઈઝરાયલ ઉપર કરેલા હુમલામાં મહિલાઓ અને બાળકોની ક્રુરતાપૂર્વક રીતે હત્યાની ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોએ નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આપ્યું છે. એટલું જ નહીં અમેરિકાએ ઈઝરાયલને હથિયારોનો કેટલોક જથ્થો પણ મોકલી આપ્યો છે. બીજી તરફ ઈઝરાયલે હમાસનો ખાતમો બોલાવવાની પ્રતિજ્ઞા લીધી છે અને ગાઝા પટ્ટી ઉપર હમાસના હેઠાણા ઉપર સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે.