અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો, તાવ, ટાઈફોડ, ઝાડા-ઊલટીના કેસમાં વધારો
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ઝાડા-ઊલટી, ટાઈફોઇડ, ડેન્ગ્યુ સહિતના કેસોમાં વધારો થયો છે. પૂર્વ વિસ્તારમાં આવેલા વટવા, ઇસનપુર, લાંભા, જશોદાનગર, રામોલ, અસારવા ઓઢવ અને પશ્ચિમમાં ગોતા, બોડકદેવ સહિતના વિસ્તારોમાં ઝાડા-ઊલટી અને ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. વધતા જતા કેસોના પગલે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં લોકોના ઘરે ઘરે ડેન્ગ્યુ ઝાડા-ઊલટી, ટાઈફોઈડ, ડેન્ગ્યુ અને તાવ સહિતના કેસો જોવા મળી રહ્યાં છે. ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.
શહેરમાં ઝાડા-ઊલટી, વાયરલ તાવ, ટાઇફોઇડ અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. ચાલુ ઓગસ્ટ મહિનાના 26 દિવસમાં ઝાડા-ઊલટીના 735 કેસો, ટાઇફોઇડના 627 અને કમળાના 172 કેસો નોંધાયા હતા. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 617 અને મેલેરિયાના 174 કેસો નોંધાયા હતા. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ઝાડા-ઊલટી, ટાઈફોડ અને ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા AMCના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ દરમિયાન બિલ્ડિંગ સાઈટ્સ પર મચ્છરોના બ્રિડિંગ મળી આવતાં દંડ વસુલવામાં આવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, પાણીજન્ય કેસોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો વધ્યા છે. કોલેરાના કેસોમાં ઘટાડો થયો છે. શહેરમાં ઓગસ્ટ માસ દરમિયાન વરસાદી સીઝનમાં પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થવાથી પાણીજન્ય રોગોમાં ઝાડા-ઊલટી અને ટાઇફોઇડના કેસો વધ્યા છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો વધતાં અવેરનેસ કાર્યક્રમો અને ફોગીંગ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. એએમસીના દરેક અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પૂરતા પ્રમાણમાં લેબોરેટરીના સાધનો અને દવાઓની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા 2617 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 26 જેટલા સેમ્પલ અનફિટ જાહેર થયા છે જ્યાં પણ આવા અનફિટ સેમ્પલો મળી આવ્યા છે ત્યાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા લીકેજને રીપેર કરવાની કામગીરી કરવામાં આવે છે. શહેરની શૈક્ષણિક સંસ્થાઓ, બાંધકામ સાઇટો, કોમર્શિયલ એકમો અને રહેણાંક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી જ્યાં પણ મચ્છરના બ્રિડિંગ મળી આવે છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં રોગચાળો અટકાવવા માટે વિવિધ જગ્યાએ ફોગિંગ અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. (File photo)