
આ વખતે રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ હોમ રિસેપ્શન કરાયું સ્થગિત, આ છે તેની પાછળનું કારણ
- આ વખતે રાષ્ટ્રપતિ ભવન ખાતે નહીં યોજાય એટ હોમ રિસેપ્શન
- કોવિડ મહામારીને કારણે કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો
- રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ અજય સિંહે આપી જાણકારી
નવી દિલ્હી: આજે સમગ્ર દેશ ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ વખતે ગણતંત્ર દિવસના પર્વ પર યોજાનારો એટ હોમ રિસેપ્શન કાર્યક્રમ આ વખતે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. પ્રથમ વખત એવું બન્યુ છે કે, રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાતો પરંપરાગત એટ હોમ સમારંભ નહીં કરવામાં આવે. કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને આ વખતે કાર્યક્રમ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ અજય સિંહે કાર્યક્રમ સ્થગિત કરવાનું કારણ કોવિડ મહામારી ગણાવી હતી. તેમના કહેવા અનુસાર પ્રથમ વખત આવું બની રહ્યું છે તેવું ના કહી શકાય પરંતુ કોઇ મહામારીને કારણે આવું ચોક્કસપણે પહેલી વખત બન્યું છે તેમ કહી શકાય.
ગત વર્ષે સ્વતંત્રતા દિવસ તેમજ ગણતંત્ર દિવસ બાદ યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ કોવિંદે વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી પરિષદ અને તમામ ટોચના અધિકારીઓનું સ્વાગત કર્યું હતું. ગત વર્ષે પણ કોરોના મહામારીને જોતા માત્ર 100 અતિથિઓને બોલાવવામાં આવ્યા હતા.
પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના પૂર્વ પ્રેસ સચિવે આ મામલે જણાવ્યું કે, આ રિસેપ્શન ગણતંત્ર અને સ્વતંત્રતા દિવસ સમારંભનું એક અભિન્ન અંગ રહ્યું છે. તે વિભિન્ન ક્ષેત્રના લોકો માટે પીએમ અને રાષ્ટ્રપતિને મળવા અને વાતચીત કરવાના અવસર સમાન છે.