
યુપી વિધાનસભા ચૂંટણી 2022: માયાવતીની જાહેરાત, BSP તમામ 403 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે
- માયાવતીની જાહેરાત
- યુપી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે
- કોઇ પક્ષ સાથે જોડાણ નહીં કરે
નવી દિલ્હી: યુપી વિધાનસભા 2022ની ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે ત્યારે BSP સુપ્રીમો માયાવતીએ જાહેરાત કરી છે કે પાર્ટી યુપી વિધાનસભા ચૂંટણીમાં તમામ 403 બેઠકો પર લડવા જઇ રહી છે. તેઓ એકલા હાથે ચૂંટણી લડશે અને કોઇ પક્ષ જોડે જોડાણ નહીં કરે.
તેમણે આજે એક બેઠક દરમિયાન નેતાઓને પોતાના સમાજ માટે અનામત બેઠકો પર પક્ષનો આધાર મજબૂત કરવાની જવાબદારી સોંપી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બસપા પ્રમુખે યુપીની તમામ 403 બેઠકો પર એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી અને વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે રાજ્યમાં 2007ની જેમ જ ફરી વાર બસપાની જ સરકારની રચના થશે.
આ દરમિયાન માયાવતીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા કે, દલિતો, આદિવાસીઓ અને પછાત લોકો માટે અનામત બાબાસાહેબની ભેટ છે, પરંતુ યુપીમાં અનામતને બિનઅસરકારક બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.
માયાવતીએ કહ્યું કે અગાઉ તેમણે પછાત વર્ગ, મુસ્લિમ સમાજ અને જાટ સમુદાયના પક્ષના કાર્યકર્તાઓને તેમના સમાજના લોકોને સામાન્ય બેઠકો પર પાર્ટી સાથે જોડવાની જવાબદારી સોંપી હતી, જેની તેમણે ગયા મહિને સમીક્ષા કરી છે. તેમણે કહ્યું કે આ વર્ગોના મોટી સંખ્યામાં લોકો બસપા (BSP) સાથે જોડાયેલા છે.