OMG! બીએસએનએલના અધિકારીએ સત્તાવાર મુલાકાત માટે ટુવાલ અને અંડર ગારમેન્ટની વ્યવસ્થા કરવા સૂચના આપી?
નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી, 2026 – BSNL official સરકારી ટેલિકોમ કંપની BSNLના વરિષ્ઠ અધિકારી માટે કરવામાં આવેલી ખાસ વ્યવસ્થાઓને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પ્રયાગરાજ પ્રવાસ સાથે જોડાયેલો એક સત્તાવાર આદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ ઓર્ડરમાં અધિકારીની અંગત સુવિધાઓ માટે એક લાંબી યાદી સામેલ હતી, જેને લઈને હવે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સખત નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર પણ આ આદેશની ભારે ટીકા થઈ રહી છે.
શું છે સમગ્ર મામલો?
જાણકારી મુજબ, BSNL ના ડાયરેક્ટર (CFA) વિવેક બંજાલ 25 અને 26 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના પ્રવાસે જવાના હતા. આ પ્રવાસ માટે જારી કરાયેલા આદેશમાં અંદાજે 50 અધિકારીઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આદેશમાં મુસાફરી અને બેઠકની વ્યવસ્થાઓની સાથે એવી વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જે સામાન્ય રીતે સરકારી પ્રવાસનો હિસ્સો માનવામાં આવતી નથી.
મળતા અહેવાલ મુજબ આ અધિકારી માટે સ્નાન અને ધાર્મિક કાર્યક્રમોની સંપૂર્ણ તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં સ્નાન પછી વપરાતી વસ્તુઓ જેવી કે ટુવાલ, અંડરગારમેન્ટ્સ, ચપ્પલ, હેર ઓઈલ, કાંસકો અને અરીસા સુધીની વસ્તુઓ સામેલ હતી. આ સિવાય હોટલ કે સર્કિટ હાઉસમાં ફળ, ડ્રાયફ્રૂટ્સ, શેવિંગ કિટ, સાબુ, શેમ્પૂ અને ટૂથબ્રશ જેવી ખાનગી વપરાશની વસ્તુઓ રાખવાની પણ સૂચના આપવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી નારાજ થયા
આ વાત જાહેર થઈ કે તરત જ તેની ટીકા થવા લાગી. લોકોએ સવાલ ઉઠાવ્યો કે સરકારી સંસાધનો અને કર્મચારીઓનો ઉપયોગ આ પ્રકારે ખાનગી સુવિધાઓ માટે કેમ કરવામાં આવી રહ્યો છે. મામલો સામે આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેને સંપૂર્ણપણે અયોગ્ય ગણાવ્યું. તેમણે કહ્યું કે આ પ્રકારની VIP વ્યવસ્થાઓ સરકારી નિયમો અને કાર્ય સંસ્કૃતિની વિરુદ્ધ છે.
સિંધિયાએ સંબંધિત અધિકારીને ‘કારણ દર્શાવો નોટિસ’ જારી કરવાના નિર્દેશ આપ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે સરકારી પદનો અર્થ ખાનગી સુવિધાઓનો દુરુપયોગ નથી. તેમણે એમ પણ કહ્યું કે સરકારી સંસ્થાઓની છબી જાળવી રાખવી એ તમામ અધિકારીઓની જવાબદારી છે. BSNL તરફથી પણ નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે કંપની એવા કોઈ પણ વર્તનનું સમર્થન કરતી નથી જે નિયમોની વિરુદ્ધ હોય. મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને જવાબ મળ્યા બાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.


