1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં છેલ્લા 8 વર્ષમાં એક લાખ વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ ખાનગી સ્કુલોમાં પ્રવેશ અપાયો
અમદાવાદમાં છેલ્લા 8 વર્ષમાં એક લાખ વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ ખાનગી સ્કુલોમાં પ્રવેશ અપાયો

અમદાવાદમાં છેલ્લા 8 વર્ષમાં એક લાખ વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ ખાનગી સ્કુલોમાં પ્રવેશ અપાયો

0
Social Share

અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન યાને આરટીઈ હેઠળ ગરીબ પરિવારોના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટનો અમલ થયા બાદ છેલ્લા 8 વર્ષમાં અમદાવાદ શહેરમાં 1 લાખ જેટલા વિદ્યાર્થીઓને RTE અંતર્ગત ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 3 હજાર પ્રમાણે સહાય સરકાર દ્વારા ચુકવવામાં આવતી હોય છે. આ વખતે વિદ્યાર્થીઓને ચુકવવાની સહાય પેટે રૂ. 68.13 કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ગ્રાન્ટ ડીઈઓ પાસે આવ્યા બાદ તમામ વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં રકમ જમા કરાવવામાં આવશે. સહાયની રકમને લઈ સ્કૂલો વાલીઓને સીધા જ ડીઈઓ કચેરી ખાતે મોકલતી હોવાથી કચેરીના કામકાજમાં અડચણો આવતી હોય હવે સ્કૂલોએ વાલીઓને કચેરીએ મોકલવાના બદલે તેમના આધાર-પુરાવા લઈ સ્કૂલના કર્મચારીને અઠવાડીયામાં બે દિવસ કચેરીમાં મોકલવાના રહેશે તેવો આદેશ કરાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં આવેલી ખાનગી સ્કૂલોમાં ધોરણ-1માં ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકે તે માટે અમલમાં મુકવામાં આવેલી રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની જોગવાઈ અંતર્ગત અમદાવાદ શહેરી વિસ્તારની ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં કુલ 99866 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2015-16થી શૈક્ષણિક વર્ષ 2022-23 સુધીમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને ડ્રેસ, બુટ, પુસ્તકો, પરિવહન ખર્ચ તથા સ્કૂલ બેગ સહિતની અભ્યાસને આનુષાંગિક વસ્તુઓ ખરીદવા માટે રૂ. 3 હજારની મર્યાદામાં સહાયની રકમ ચુકવવામાં આવે છે. અમદાવાદમાં ચાલુ વર્ષે અંદાજે 1 લાખ જેટલા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે રૂ. 68.13 કરોડ મંજુર કરવામાં આવ્યા છે. જેથી આ રકમ જિલ્લા શિક્ષણાધિકારીના બેંક એકાઉન્ટમાં જમા થયા બાદ જે તે વિદ્યાર્થીઓને સીધી જ તેમના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે. આમ, આ વખતે સ્કૂલો શરૂ થતાની સાથે જ ગ્રાન્ટની ફાળવણી કરી દેવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓને પણ વહેલી તકે રકમની ચુકવણી કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરી વિસ્તારમાં 1450 જેટલી પ્રાથમિક સ્કૂલો આવેલી છે. જ્યારે ખાનગી સ્કૂલોમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે 1 લાખ જેટલી છે. આ વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 3 હજારની સહાયની કામગીરી ડીઈઓ કચેરીમાં પ્રાથમિક શાખા દ્વારા કરવામાં આવે છે. આવા કામ માટે શાળા વાલીઓને સીધા જ ડીઈઓ કચેરી ખાતે મોકલી આપે છે. જેના કારણે કચેરીમાં વાલીઓનો મોટા પ્રમાણમાં ધસારો રહે છે અને વાલી જે કામ માટે આવે છે તેના પુરતા આધાર-પુરાવા ન હોવાના કારણે ધક્કા ખાવા પડે છે. જેના પગલે કચેરીના કર્મચારીઓ અને વાલીઓ વચ્ચે ઘર્ષણના બનાવો બને છે.આમ, હવે ડીઈઓ કચેરીના રોજિંદા કામકાજમાં ખલેલ ન પહોંચે તે માટે હવે પછી કોઈ પણ પ્રાથમિક શાળાએ વાલીઓને સીધા કચેરીમાં ન મોકલતા વાલીઓ પાસેથી કામ સંદર્ભે જરૂરી આધાર- પુરાવા મેળવી સ્કૂલના અનુભવી કર્મચારીને સોમવાર અને ગુરૂવારના રોજ કચેરીમાં મોકલવાના રહેશે. જેથી વાલીઓને કચેરી સુધી લાંબા થવામાંથી મુક્તિ મળશે અને કચેરીના કામકાજનો સમય પણ બચશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code