1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોંગ્રેસના ધારાસભ્યને ભાજપમાં જોડાવવાનું જાહેર મંચ પરથી પાટીલે આમંત્રણ આપ્યું
કોંગ્રેસના ધારાસભ્યને ભાજપમાં જોડાવવાનું જાહેર મંચ પરથી પાટીલે આમંત્રણ આપ્યું

કોંગ્રેસના ધારાસભ્યને ભાજપમાં જોડાવવાનું જાહેર મંચ પરથી પાટીલે આમંત્રણ આપ્યું

0
Social Share

અમરેલી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ સવા વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી ટાણે પાટલીબદલુઓ પક્ષ છોડતા હોય છે. કોંગ્રેસના તાકતવાર ગણાતા નેતાઓ પર ભાજપનો ડોળો છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેરને ભાજપમાં જોડાવવાનું જાહેર મંચ પરથી આમંત્રણ આપતા રાજકીય માહોલ ગરમાયો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનું રાજકારણ ગરમાયું છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસના એક ધારાસભ્યને પોતાના પક્ષમાં આવવા ખુલ્લુ આમંત્રણ આપ્યું હતું. જાહેર મંચ પર પાટીલે આપેલા એક રાજકીય નિવેદનથી બંને રાજકીય પાર્ટીઓ વચ્ચે ગણગણાટ શરૂ થયો છે. આહિર સમાજના બાબરીયા ધાર સમૂહ લગ્નમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરિષ ડેર  પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી અને  કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર માટે ભાજપમાં ખાલી જગ્યા રાખી છે તેવુ સ્ફોટક નિવેદન ભાજપ પ્રદેશ અધ્યક્ષે આપ્યું હતું.

આ કાર્યક્રમમાં સી. આર. પાટીલે કહ્યું હતું કે, ધારાસભ્ય ડેરને ખખડાવવા મારો અધિકાર છે. મારી પાર્ટીના ઘણા લોકો તેમના મિત્ર છે અને તેમનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. અમે હજુ પણ તેમના માટે ખાસ જગ્યા રાખી છે. પહેલા અમે સાથે હતા, એટલે થોડી થોડી ભૂલ થઈ જાય છે. આમ કહી તેમણે કાર્યક્રમમાં રમૂજી માહોલ બનાવ્યો હતો. મહત્વનું છે કે, હજુ બે દિવસ પહેલા જ રાજ્યના ઊર્જા મંત્રી મુકેશ પટેલ અને અમરીશ ડેર સાથે મુલાકાત થઈ હતી. ત્યાર બાદ પાટીલનું આ નિવેદન સૂચક માનવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમરિષ ડેર યુવા કોંગ્રેસનો મજબૂત ચહેરો ગણાય છે. ત્યારે સીઆર પાટીલનું આવુ જાહેરમાં તેમના વિશે નિવેદન આપવુ મોટી વાત કહેવાય. સમગ્ર મામલે અમરિષ ડેરે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ રાજ્યસભા, વિધાનસભાની ચૂંટણીના સમયે  ભાજપમાં જોડાઈ રહ્યો હોવાનું ત્યારે મારુ નામ ચાલતુ હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાણી સ્વતંત્રતા અંતર્ગત આવુ બોલવા સ્વતંત્ર છે. સંબંધો મારી સાથે બહુ જ સારા છે. તેથી તેમણે પોતીકાપણાના ભાવથી આવુ નિવેદન આપ્યું હશે. મેં એક સમયે ભાજપમાં કામ કર્યુ છે, તેની હુ ના પાડતો નથી. મારી કાર્યશૈલી જોઈને તેમણે આવુ નિવેદન આપ્યુ હોઈ શકે છે.

જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ  જણાવ્યું કે, ભાજપ પાસે કોઈ સક્ષમ ચહેરો નથી, ભાજપને હવે યુવા ચહેરાની જરૂર છે. મને પૂર્વ મુખ્યમંત્રી, નીતિન પટેલ પર દયા આવે છે. તેમણે વર્ષો સુધી કામ કરીને ભાજપને સત્તા પર પહોંચાડી. હવે ભાજપને આ નેતાઓ ગમતા નથી. તેથી તેઓ કોંગ્રેસના નેતાઓને લઈ જવાનો પ્રયાસ કરે છે. હાલ કોરોનાની બીજા લહેર પછી ગુજરાતની જનતા તેઓને સ્વીકારે તેમ નથી. તેથી ક્યાંક આવી વાહિયાત વાતો કરે છે. અમરિષભાઈ અમારા મજબૂત સાથી છે. ભાજપ સામે 2022 ના મુખ્ય સંઘર્ષ માટેના તેઓ અમારા સાથી છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code