
વિયેતનામ સરકારે જુલાઈ 2026 થી રાજધાની હનોઈના મધ્ય વિસ્તારમાં પેટ્રોલથી ચાલતી મોટરસાયકલ અને સ્કૂટર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. દેશભરમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. વિયેતનામના વડા પ્રધાન ફામ મીન ચિન્હ દ્વારા જારી કરાયેલા આ આદેશ હેઠળ, આ પ્રતિબંધ હનોઈના તે ભાગોમાં લાગુ થશે જે મુખ્ય રિંગ રોડની અંદર અને તેની આસપાસ આવે છે. સ્થાનિક સરકારને નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં તબક્કાવાર રીતે આ વાહનોને દૂર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
હનોઈમાં ટુ-વ્હીલરનું વર્ચસ્વઃ હનોઈની વસ્તી લગભગ 80 લાખ છે અને અહીંના મોટાભાગના લોકો ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે. શહેરમાં લગભગ 70 લાખ મોટરસાયકલ અને માત્ર 10 લાખ કાર છે. પરંતુ જેમ જેમ લોકોની આવક વધી રહી છે અને તેઓ ખાનગી વાહનો તરફ વળી રહ્યા છે. ટ્રાફિકને કારણે વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા બની ગયું છે. ઘણીવાર ગાઢ ધુમ્મસ હનોઈને આવરી લે છે અને આ શહેર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં ગણાય છે.
ઇલેક્ટ્રિક વાહનો તરફ પગલાં : વિયેતનામ સરકારનો ઉદ્દેશ્ય વાયુ પ્રદૂષણ અને આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે પેટ્રોલ-ડીઝલ વાહનોને બદલે ઇલેક્ટ્રિક વાહનો (EVs) ને પ્રોત્સાહન આપવાનો છે. દેશની સ્થાનિક EV કંપની VinFast આ દિશામાં મોખરે છે. અને યુરોપિયન ચેમ્બર ઓફ કોમર્સ અનુસાર, આ કંપની વિયેતનામના EV બજારનો લગભગ 20 ટકા હિસ્સો સંભાળી રહી છે. જોકે, ટુ-વ્હીલર સેગમેન્ટમાં તેનો દબદબો હજુ પણ ખૂબ જ મર્યાદિત છે.
ટુ-વ્હીલર પ્રતિબંધ અંગે લોકોની ચિંતા : આ નિર્ણયથી લોકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. 62 વર્ષીય ન્ગ્યુએન વાન હંગ, જે છેલ્લા ત્રણ દાયકાથી હનોઈમાં મોટરસાઇકલ ટેક્સી ચલાવી રહ્યા છે અને હવે ગ્રેબ રાઇડ-હેલિંગ એપ્લિકેશન સાથે સંકળાયેલા છે, કહે છે, “આનાથી એવા લોકો પર વધુ અસર થશે જેઓ તેમની આજીવિકા માટે મોટરસાઇકલ પર આધાર રાખે છે. જેમ કે ડિલિવરી બોય, મુસાફરો અને રાઇડ-હેલિંગ ડ્રાઇવરો. લોકો તેમના વાહનોને આ રીતે કેવી રીતે છોડી દેશે?”
તેવી જ રીતે, શહેરના મધ્ય વિસ્તારના ક્લાર્ક, 32 વર્ષીય હોઆંગ ડુય ડુંગે કહ્યું, “આપણને સ્વચ્છ હવાની જરૂર છે, પરંતુ આ પરિવર્તન ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. પ્રથમ, જાહેર પરિવહનમાં સુધારો કરવો અને લોકોને ટેકો આપવો જરૂરી છે.” પ્રતિબંધનો બીજો તબક્કો જાન્યુઆરી 2028 થી શરૂ થશે, જેમાં મધ્ય હનોઈની બહારના વિસ્તારો પણ શામેલ હશે. આ હેઠળ, તમામ ઇંધણ આધારિત ટુ-વ્હીલર અને કેટલીક પેટ્રોલ-ડીઝલ કાર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.
• સરકારના અન્ય પગલાં
સરકાર અન્ય પગલાંઓ પર પણ કામ કરી રહી છે, જેમ કે, કચરાના શુદ્ધિકરણ પ્લાન્ટને અપગ્રેડ કરવા, ડિજિટલ સાધનોથી પ્રદૂષણનું નિરીક્ષણ કરવું, પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે કડક સજા નક્કી કરવી અને પર્યાવરણીય નિયમો તોડનારાઓ વિશે માહિતી આપનારાઓને પુરસ્કાર આપવા.