
રાજકોટમાં બુધવારે એરપોર્ટથી રેસકોર્ષ સુધી PMનો રોડ શો અને ત્રણ ઓવરબ્રિજનું લોકોર્પણ કરાશે
રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે સવા મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપના પ્રચારની બાગદૌર વડાપ્રધાન મોદીએ સંભાળી લીધી છે. સમયાંતરે ગુજરાતની મુલાકાત લઈને જાહેર સભાઓ સંબોધી રહ્યા છે. હવે વડાપ્રધાન આગામી તા. 19મી ઓક્ટોબરે રાજકોટની મુલાકોતે આવી રહ્યા છે. જેમાં શહેરના એરપોર્ટથી રેસકોર્ષ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાશે. તેમજ શહેરના ત્રણ ઓવરબ્રિજનું વડાપ્રધાન લોકાર્પણ કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, વડાપ્રધાન મોદી 19 ઓક્ટોબરના રોજ રાજકોટમાં ત્રણ ઓવરબ્રિજની ભેટ શહેરીજનોને આપશે. 19 ઓક્ટોબરે વડાપ્રધાનનો રોડ શો યોજાશે. રાજકોટ એરપોર્ટથી રેસકોર્ષ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાશે. ત્યારબાદ વડાપ્રધાન વિશાળ જનસભાને પણ સંબોધશે. વડાપ્રધાનના આગમનને લીધે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક બોલાવવામાં આવી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 19 ઓક્ટોબરે રાજકોટને ત્રણ ઓવરબ્રિજની ભેટ આપશે. વડાપ્રધાનના હસ્તે હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ, નાના મૌવા ચોક ઓવરબ્રિજ અને રામાપીર ચોક ઓવરબ્રિજનું લોકાર્પણ થશે. આ ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં ઓવરબ્રિજ બનતા રાજકોટમાં અંદાજે 2 લાખ વાહન ચાલકોના ઈંધણ અને સમયની બચત થશે. હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ અંદાજે દોઢ વર્ષમાં બનીને તૈયાર થયો છે. હોસ્પિટલ ચોક પર ટ્રાયેંગલ બ્રિજ તૈયાર કરાયો કરાયો છે. અહીંથી જામનગર, દ્વારકા જતા લોકો સરળતાથી જઈ શકશે. ઉપરાંત બીજા માર્ગ પર ઉપલાકાંઠા વિસ્તાર અને અમદાવાદ જતા વાહન ચાલકોને લાભ મળશે. રાજકોટના મહત્વના માર્ગ પર ટ્રાફિક વહેંચાતા થતા એક મોટી સમસ્યાનો પણ અંત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ મુલાકાત દરમિયાન અંદાજે 5 હજાર કરોડથી વધારેની રકમના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદી મવડી ઈનડોર સ્ટેડિયમનું પણ ખાતમુહૂર્ત કરશે. પીએમ મોદીના પ્રવાસને રાજકોટના વહીવટી તંત્ર અને ભાજપ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.