
અમદાવાદઃ ઉત્તરાણ યાને મરકસંક્રાંતિને હવે બે-ત્રણ દિવસ બાકી રહ્યા છે. ત્યારે પોલીસે જીવલેણ ગણાતી ચાઈનિઝ દોરી સામે ઝૂંબેશ શરૂ કરી છે. અમદાવાદ પોલીસે હાથ ધરેલી ખાસ ડ્રાઇવમાં 10 દિવસમાં 388 એફઆઈઆર નોંધવામાં આવી છે, તેમજ ચાઇનીઝ દોરીની 398 રીલ જપ્ત કરી જાહેરનામાના ભંગ બદલ 30 વ્યક્તિની અટકાયત કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર પોલીસને 10 દિવસમાં ચાઈનીઝ દોરીના વેચાણ અંગે 309 ફરિયાદ મળી હતી. લોકોની ફરિયાદોને પગલે પોલીસે દરોડા પાડી કાર્યવાહી કરી હતી. છેલ્લા 10 દિવસમાં થયેલી 388 એફઆઈઆરમાંથી 29 એફઆઇઆર સોમવારે જ કરવામાં આવી હતી. લોકો ચાઇનીઝ દોરીની ખરીદી કે ઉપયોગ ન કરે તે માટે સોશિયલ મીડિયા મારફતે અલગ અલગ પોસ્ટ મુકી જાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતી હોય તો કોઈપણ નાગરિક 100 નંબર પર ફોન કરી પોલીસને માહિતી આપી શકે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, તાજેતરમાં હાઇકોર્ટે ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા સરકારે લીધેલા પગલાનો ખુલાસો માગ્યો હતો. હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યા પછી પોલીસે ચાઇનીઝ દોરી સામે ઝુંબેશ ચાલુ કરી છે. દર વર્ષે ચાઇનીઝ દોરીથી ગળા અને આંખો પર ઇજાના સંખ્યાબંધ કેસ નોંધાતા હોય છે અને કેટલાક કિસ્સામાં તો મોત પણ થતું હોય છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સેટેલાઇટ શ્રેયસપાર્ક પાસેથી પસાર થઇ રહેલા યુવકને રૂ.2 હજારની કિંમતના 8 ચાઇનીઝ ટેલર સાથે પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ચાઈનિઝ દોરીથી રોડ પરથી પસાર થતાં દ્વિચક્રી વાહનચાલકો પણ અકસ્માતનો ભોગ બનતા હતા. એટલું જ નહીં ગગનમાં વિહાર કરતા પક્ષીઓ પણ ચાઈનિઝ દોરીને લીધે મોતને ભેટતા હતા. આથી સરકારે ચાઈનિઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકી દીધો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.