ઉનાળામાં ટેનિંગ અને ડાઘ-ધબ્બાથી છુટકારો અપાવશે બટાટાનો રસ: જાણો તેના અદભૂત ફાયદા
ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૂર્યનો આકરો તડકો, લૂ અને ધૂળ-માટી આપણી ત્વચાની દુશ્મન બની જાય છે. ગરમીના કારણે ત્વચા પર સન ટેનિંગ થવું સામાન્ય છે, પરંતુ જો તેને સમયસર દૂર કરવામાં ન આવે તો તે જીદ્દી કાળા ડાઘનું સ્વરૂપ લઈ લે છે. બજારમાં મળતા મોંઘા પ્રોડક્ટ્સને બદલે હવે લોકો ફરીથી ઘરેલુ નુસખા તરફ વળ્યા છે, જેમાં ‘બટાટાનો રસ’ ત્વચા માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે.
- ત્વચા માટે બટાટાના રસના ચમત્કારી ફાયદા
રંગતમાં સુધારો: 100 ગ્રામ બટાટામાં અંદાજે 13 મિલિગ્રામ વિટામિન-સી (Vitamin C) હોય છે. તે ત્વચાની રંગત સુધારવામાં અને ડાર્ક સ્પોટ્સ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં રહેલા કુદરતી એન્ઝાઇમ્સ ત્વચાને કુદરતી રીતે ગોરી બનાવે છે.
ઓઈલ કંટ્રોલ: બટાટામાં રહેલો સ્ટાર્ચ ત્વચા પરના વધારાના તેલને નિયંત્રિત કરે છે. ખાસ કરીને જેની ત્વચા ઓઈલી હોય તેમના માટે આ આશીર્વાદરૂપ છે.
એન્ટી-એજિંગ ઈફેક્ટ: બટાટાના રસમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે, જે સ્કીનને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. તે અકાળે આવતી કરચલીઓ ઘટાડે છે અને ચહેરાને લાંબા સમય સુધી યુવાન રાખે છે.
નેચરલ હાઈડ્રેશન: ઉનાળામાં ત્વચા સુકી પડી જતી હોય છે. અઠવાડિયામાં બે થી ત્રણ વાર બટાટાનો રસ લગાવવાથી ત્વચા કુદરતી રીતે મોઈશ્ચરાઈઝ રહે છે.
- આ લોકોએ ભૂલથી પણ ન લગાવવો જોઈએ
બટાટાનો રસ ફાયદાકારક છે, પરંતુ દરેક સ્કીન ટાઈપ માટે તે યોગ્ય નથી. જે લોકોની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય તેમણે બટાટાનો રસ ન લગાવવો જોઈએ. સ્ટાર્ચના કારણે ત્વચા પર ખંજવાળ કે બળતરા થઈ શકે છે. જો ત્વચા પર પહેલાથી જ કોઈ બળતરા, સોજો કે ઇજા હોય તો આ પ્રયોગ ટાળવો જોઈએ, અન્યથા તકલીફ વધી શકે છે. જો બટાટાનો રંગ લીલો દેખાતો હોય, તો તેનો રસ ક્યારેય ચહેરા પર ન લગાવો. લીલા બટાટામાં ‘સોલેનાઈન’ નામનું ઝેરી તત્વ હોય છે, જે ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.
આ પણ વાંચોઃ ઓડિશાના નયાગઢમાં ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત, 40 થી વધુ ઘાયલ


