
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે દોઢ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન રિપોર્ટ અનુસાર, રશિયાના સંરક્ષણ પ્રધાન અને પુતિનના નજીકના મિત્ર સર્ગેઈ શોઇગુ (66 વર્ષ)ને ગંભીર હાર્ટ એટેક આવ્યો છે, તેમને આવેલો હાર્ટએટેક કુદરતી નહીં હોવાનું મનાઈ રહ્યું છે. શંકાના આધારે 20 જનરલોની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોઇગુને આ હાર્ટ એટેક કેટલીક ખોટી પદ્ધતિઓના કારણે આવ્યો હતો. આ દાવો રશિયન-ઈઝરાયેલના બિઝનેસમેન લિયોનીડ નેવઝલિન દ્વારા કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શોઇગુ 2012થી પુતિનના નજીકના સાથી છે. તેઓ અઠવાડિયાથી ગુમ હતા. બિઝનેસમેન લિયોનીડ નેવ્ઝલિનના આ દાવાથી ખળભળાટ મચી ગયો છે. જો તેમનો દાવો સાચો સાબિત થાય છે, તો તે અલગ પડેલા રશિયન પ્રમુખ અને તેમના નજીકના સલાહકારો અને લશ્કરી નેતાઓ વચ્ચેના મોટા અણબનાવની પુષ્ટિ કરશે. નેવઝલિન એક સમયે રશિયાના સૌથી ધનાઢ્ય માણસોમાંના એક હતા, પરંતુ પુતિન અને ક્રેમલિને તેમની તેલ કંપનીને જપ્ત કરવાનું નક્કી કર્યું ત્યારે 2003માં તેમણે દેશ છોડી દીધો. આવી સ્થિતિમાં તેમનો દાવો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
નેવઝલિને કહ્યું હતું કે, શોઇગુ રશિયન સૈન્યના નેતા છે. યુક્રેનમાં યુદ્ધના શરૂઆતના અઠવાડિયામાં તે મુખ્ય આધાર હતો, પરંતુ તાજેતરમાં ક્રેમલિનની નિયમિત બ્રીફિંગમાંથી ગાયબ થઈ ગયો હતો. આક્રમણની ધીમી પ્રગતિને કારણે માર્ચના અંતમાં પુટિન અને શોઇગુ વચ્ચે તણાવ વધ્યો હોવાનું કહેવાય છે. નેવજાલિને શોઇગુના હાર્ટ એટેક પર શંકા વ્યક્ત કરી છે, અને કહ્યું છે કે તે કુદરતી કારણોને લીધે થયું નથી.