દિલ્હીઃ- દેશભરમાં 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ રહી છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. આ સાથએ જ જી 20ની બેઠક પણ ચાલી રહી હોવાથઈ ખાસ વિદેશથી આવેલા મહેમાનોની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
દેશભરમાં સ્વતંત્રતા દિવસ પર આતંકવાદી હુમલાની શક્યતા સુરક્ષા એજન્સીઓ દ્રારા વ્યક્ત કરી છે. એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશની રાજધાની દિલ્હી આતંકવાદીઓનું મુખ્ય નિશાન છે. આતંકવાદીઓનો ઈરાદો જી-20 પહેલા હુમલા કરીને દેશની છબિ ખરાબ કરવાનો છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે સ્વતંત્રતા દિવસ માટે મુખ્ય ખતરો પાકિસ્તાની સંગઠનોથી છે. જો કે, આ સિવાય સ્થાનિક આતંકવાદી સંગઠનો અને શીખ ઉગ્રવાદીઓ તરફથી પણ જોખમ જોવા મળી રહ્યું છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ આતંકવાદી સંગઠનો ખાસ કરીને લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદને આતંકવાદી હુમલા માટે ભંડોળ પૂરું પાડે છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ગુપ્તચર એજન્સીઓ એ ફેબ્રુઆરી 2023માં ઇનપુટ મળ્યું હતું કે પાકિસ્તાની આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા લોકો દિલ્હીમાં રેકી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મે 2023 ના અન્ય ઇનપુટ મુજબ, લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક પાકિસ્તાની આતંકવાદીએ તેના સહયોગીઓને મુખ્ય રસ્તાઓ, રેલ્વે મથકો, દિલ્હી પોલીસ હેડક્વાર્ટર અને NIA ઓફિસ સહિત દિલ્હીમાં કેટલીક જગ્યાઓ પર જાસૂસી કરવા સૂચના આપી હતી.
મે મહિનામાં, પીઓકે સ્થિત એક આતંકવાદી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવેલ એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે જૈશ-એ-મોહમ્મદ દિલ્હી સહિત અનેક ભારતીય શહેરોને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યું છે.જેને લઈને સુરક્ષા એજન્સીો સતર્ક બની છે.