વલસાડમાં ધરા ધ્રુજી, 1.7ની તીવ્રતા નોંધાઈ
સુરત, 4 એપ્રિલ 2026: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે બપોરના સમયે ફરી એકવાર ધરા ધ્રૂજી હતી. વલસાડ જિલ્લામાં બપોરના સમયે હળવો આંચકો નોંધાયો હતો. જેની તીવ્રતા રિકટર સ્કેલ ઉપર 1.7ની નોંધાઈ હતી. તીવ્રતા ઓછી હોવાના કારણે મોટાભાગના લોકોને આંચકો અનુભવાયો ન હતો. પરંતુ ભૂકંપની વિગતો સામે આવતા લોકોમાં કુતૂહલ ફેલાયું હતું.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના જણાવ્યા અનુસાર, વલસાડમાં બપોરે 1.12 કલાકે આ ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1.7 જેટલી માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડેટા મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ વલસાડ શહેરથી અંદાજે 61 કિલોમીટર દૂર નોંધાયું છે. ભૂકંપની ઊંડાઈ અને અંતરને જોતા આ એક અત્યંત હળવો આંચકો હતો, જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.


