1. Home
  2. ગુજરાતી
  3. સોમાલિયા તટ પર ઈન્ડિયન નેવીના માર્કોસ કમાન્ડોનું સફળ ઓપરેશન, 15 ભારતીય સાથે 21 ક્રૂ મેમ્બરનું કર્યું રેસ્ક્યૂ
સોમાલિયા તટ પર ઈન્ડિયન નેવીના માર્કોસ કમાન્ડોનું સફળ ઓપરેશન, 15 ભારતીય સાથે 21 ક્રૂ મેમ્બરનું કર્યું રેસ્ક્યૂ

સોમાલિયા તટ પર ઈન્ડિયન નેવીના માર્કોસ કમાન્ડોનું સફળ ઓપરેશન, 15 ભારતીય સાથે 21 ક્રૂ મેમ્બરનું કર્યું રેસ્ક્યૂ

0
Social Share

નવી દિલ્હી: અરબી સમુદ્રમાં સોમાલિયા તટ પાસે હાઈજેક થયેલા જહાજ પર ભારતીય નૌસેનાનું ઓપરેશન શુક્રવારે રાત્રે પૂર્ણ થયું છે. 15 ભારતીયો સહીત તમામ 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લેવાયા છે. નૌસેનાના માર્કો કમાન્ડોએ જહાજનું સર્ચિંગ કર્યું છે. આ દરમિયાન ચાંચિયા જહાજ પર મળ્યા નથી.

હાઈજેક કરવામાં આવેલા જહાજને છોડાવવા માટે નૌસેનાનું આઈએનએસ ચેન્નઈ રવાના થયું હતું. માનવામાં આવે છે કે ભારતીય નૌસેનાની કડક ચેતવણીથી ડરીને હાઈજેકર્સ જહાજ છોડીને ભાગી ગયા હતા.

આખી ઘટના 4 જાન્યુઆરીની છે. પરંતુ તેની માહિતી શુક્રવારે સામે આવી હતી. લાઈબેરિયાના ધ્વજવાળા આ જહાજનું નામ લીલા નોફોર્ક છે. ભારતીય નૌસેનાએ કહ્યુ છે કે જહાજે બ્રિટનના મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સ પોર્ટલ પર એક સંદેશ મોકલ્યો હતો. તેમાં કહ્યુ હતુ કે 4 જાન્યુઆરીની સાંજે 5થી 6 સમુદ્રી લૂંટારાઓ હથિયારો સાથે જહાજ પર ઉતર્યા હતા.

ભારતીય નૌસેનાએ કહ્યું છે કે હાઈજેકની માહિતી મળતા જ એક મેરીટાઈમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ પી8આઈને જહાજ તરફ રવાના કર્યું. મર્ચેન્ટ વેસલની સુરક્ષા માટે આઈએનએસ ચેન્નઈને પણ મોકલવામાં આવ્યું.

મરીન ટ્રાફિક પ્રમાણે, જહાજ બ્રાઝિલના પોર્ટો ડૂ એકૂથી બહરીનના ખલીફા બિન સલમાન પોર્ટ જઈ રહ્યું હતું. આ 11 જાન્યુઆરીના લોકેશન પર પહોંચવાનું હતું. વેસલ ફાઉન્ડર પ્રમાણે, જહાજ સાથે છેલ્લીવાર 30 ડિસેમ્બરે સંપર્ક કરવાામં આવ્યો હતો. જહાજને કોણે હાઈજેક કર્યું હતું, તેની જાણકારી હાલ સામે આવી નથી.

અરબી સમુદ્ર અને લાલ સાગરમાં હાલ મર્ચેન્ટ વેસલ પર હુમલાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના પહેલા 14 ડિસેમ્બરે પણ ચાંચિયાઓએ માલ્ટામાં એક જહાજને હાઈજેક કર્યું હતું.

તેના પછી નૌસેનાએ પોતાના એક યુદ્ધજહાજને એડનની ખાડીમાં હાઈજેક થયેલા જહાજ એમવી રુએનની મદદ માટે મોકલ્યું હતું. જહાજને 6 ચાંચિયાઓએ હાઈજેક કર્યું હતું. ભારતીય નૌસેનાએ માલ્ટાના જહાજમાંથી એક નાવિકનું રેસ્ક્યૂ કર્યું હતું. તે નાવિક ગંભીરપણે ઘાયલ હતો. તેનો ઈલાજ શિપ પર થવો શક્ય ન હતો અને તેથી તેને ઓમાન મોકલવામાં આવ્યો હતો.

ધ મેરીટાઈમ એક્ઝિક્યૂટિવના રિપોર્ટ મુજબ, હાઈજેક થયેલું જહાજ કોરિયાથી તુર્કિયે તરફ જઈ રહ્યું હતું. ત્યારે સોમાલિયાના સમુદ્રી લૂંટારાઓએ તેના પર હુમલો કર્યો હતો.

આના પહેલા 19 નવેમ્બરે હૂતી વિદ્રોહીઓએ લાલસાગરમાંથી એક કાર્ગો શિપ ગેલેક્સી લીડરને હાઈજેક કર્યું હતું. આ જહાજ તુર્કિયેથી ભારત આવી રહ્યું હતું. હૂતી વિદ્રોહીઓએ આને ઈઝરાયલી જહાજ સમજીને હાઈજેક કર્યું હતું. હૂતિઓએ શિપ હાઈજેક કરવાનો વીડિયો પણ શેયર કર્યો હતો. આ જહાજમાં 25 ભારતીય ક્રૂ મેમ્બર્સ હતા.

જહાજ હાઈજેક થવાની જાણકારી મળતા જ નેતન્યાહૂએ આનો આરોપ ઈરાન પર લગાવ્યો હતો. ઈઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ તેને ઈરાનની તરફથી આંતરરાષ્ટ્રીય જહાજ પર હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે આ ઈરાન તરફથી કરવામાં આવેલી આતંકી હરકત છે. આ દુનિયા પર હુમલાની કોશિશ છે. તેનાથી દુનિયાની શિપિંગ લાઈન પણ પ્રભાવિત થશે.

સોમાલિયાના સમુદ્રી વિસ્તારમાં મોટા પ્રમાણમાં માછલીઓ ઉપલબ્ધ છે. 1990 બાદ આ દેશના લોકોએ હથિયાર ઉઠાવી લીધા અને સમુદ્રી લૂંટારા બની ગયા. સમુદ્રી માલવાહક જહાજોનો મોટો કાફોલ સોમાલિયાના દરિયા કાંઠેથી પસાર થતો હતો.

માછીમારોમાંથી ચાંચિયા બનેલા લોકોએ આ જહાજોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. જહાજ છોડવાના બદલામાં ખંડણી લેવા લાગ્યા હતા. 2005 સુધી આ ધંધો એટલો મોટો થયો કે એક પાઈરેટ સ્ટોક એક્સચેન્જ બનાવી લેવાયું. એટલે કે લૂંટારાઓના અભિયાનને ફંડ કરવા માટે લોકો ઈન્વેસ્ટ કરી શકતા હતા. બદલામાં લોકોને લૂંટેલી રકમનો એક મોટો હિસ્સો મળતો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code