સ્માર્ટફોન યૂઝર્સ માટે મહત્વના સમાચાર, આગામી સમયમાં ટેલિકોમ કંપનીઓ વધારશે ટેરિફ
- દેશના કરોડો સ્માર્ટફોન યૂઝર્સના ખિસ્સા પર વધુ ભાર પડશે
- આગામી 6 મહિનામાં ટેલિકોમ કંપનીઓ વધારશે ટેરિફ
- ટેલિકોમ કંપનીઓ 30 ટકા સુધી ટેરિફ વધારશે
નવી દિલ્હી: દેશના કરોડો સ્માર્ટફોન યૂઝર્સને આગામી દિવસોમાં વધુ ખિસ્સા ખાલી કરવા પડે તેવી સ્થિતિ આવી શકે છે. આગામી 6 મહિનામાં તેના ફોનનું બિલ ઓછામાં ઓછા 30 ટકા સુધી વધી શકે છે. તેનું કારણ એ છે કે, એરટેલ અને વોડાફોન આઇડિયા પોતાના ટેરિફ ઓફરમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે. એરટેલે પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે એન્ટ્રી પ્લાન 60 ટકા મોંઘા કરી દીધા છે.
બીજી તરફ વોડાફોન આઇડિયાએ પણ કેટલાક સર્કલ્સમાં તેના ટેરિફ પ્લાન મોંઘા કરી દીધા છે અને ટૂંક સમયમાં તેને દેશભરમાં લાગૂ કરવાની યોજના છે. પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ભારે દેવુ ધરાવતા વોડાફોન ઇન્ડિયા માટે મહત્વનું બની ગયું છે. ટેલિકોમ ઉદ્યોગના ગ્રાહક બેસમાં પ્રિપેઇડ યૂઝર્સ 90 ટકા કરતા વધારે હિસ્સો ધરાવે છે.
વોડાફોન આઈડિયાએ પણ પોતાના કોર્પોરેટ કસ્ટમર્સ માટે બિઝનેસ પ્લસ પોસ્ટપેડ પ્લાન હેઠળ ડેટા બેનેફિટ્સમાં કાપ મુક્યા હતા. બંને કંપનીઓ ખાસ કરીને વોડાફોન આઈડિયા ટેરિફ અને એવરેજ રેવેન્યૂ પર યૂઝર (એઆરપીયુ) વધારવા પર ભાર આપી રહી છે.
તેમનું કહેવું છે કે વોડાફોન આઈડિયાએ ડિસેમ્બર 2021થી એપ્રિલ 2022 સુધીમાં રૂ. 22,000 કરોડથી વધુની લેણા રકમ કાઢી નાખવી પડશે. આ માટે તેને રોકડની જરૂર છે અને તે ફક્ત ટેરિફ વધારીને તત્કાલ રોકડ મેળવી શકે છે.