
- વોટ્સએપ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે
- વોટ્સએપ પ્રાઇવસી પોલિસીને કારણે યૂઝર્સ નારાજ
- વોટ્સએપના 5 ટકા યૂઝર્સે એપને અનઇન્સ્ટોલ કરી
કેલિફોર્નિયા: વોટ્સએપની પ્રાઇવસી પોલિસી બાદ હવે યૂઝર્સનો વોટ્સએપ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે અને નારાજ વોટ્સએપ યૂઝર્સે આ મેસેજ એપને અનઇન્સ્ટોલ કરવાનું શરૂ કરી દીધું છે. કોમ્યુનિટી પ્લેટફોર્મ લોકલ સર્કિલ્સના તાજેતરના સર્વમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. સર્વેમાં સામેલ આશરે 5 ટકા યૂઝર્સે જણાવ્યું હતું કે, તેઓએ વોટ્સએપ અનઇન્સ્ટોલ કરી દીધું છે. 21 ટકા યૂઝર્સે કહ્યું હતું કે તેઓ વોટ્સએપને સ્થાને અન્ય મેસેજિંગ એપનો ઉપયોગ કરી રહ્યા છે.
લોકલ સર્કિલ્સે પોતાના સર્વેમાં શોધ્યું છે કે આશરે 75% વોટ્સએપ વપરાશકારો તેનો ઉપયોગ બંધ કરવાનું વિચારે છે. તેમનું કહેવું છે કે જો બિઝનેસ એકાઉન્ટનો યુઝર અને ટ્રાન્ઝેક્શન ડેટા ફેસબુક અને થર્ડ પાર્ટી સાથે શેર કરવો પડશે તો તેઓ વોટ્સએપ છોડી દેશે. સર્વેક્ષણમાં 93% લોકોએ જણાવ્યું હતું કે જો વોટ્સએપ ચુકવણી અને લેણદેણની માહિતી ફેસબુક સાથે શેર કરશે તો તે વોટ્સએપનું પેમેન્ટ ફીચરનો ઉપયોગ કરશે.
ચાલુ મહિને જ વોટ્સએપે પોતાની પ્રાયવસી અને પોલિસી સર્વિસમાં ફેરફાર કર્યો હતો. તેની અંદર વપરાશકારને બિઝનેસ એકાઉન્ટની ચેટ,પેમેન્ટ અને ટ્રાન્જેક્શનની જાણકારી પેરેન્ટ કંપની અને થર્ડ પાર્ટી સાથે શેર કરવાની મંજૂરી આપવાની હતી. પ્રાઇવેટ ડેટાના શેરિંગ માટે વોટ્સએપે મંજૂરી માંગતા વિવાદ ઉભો થયો હતો. આ બાદ વોટ્સએપે પોલિસી અપડેટની તારીખ 8 ફેબ્રુઆરીથી વધારીને 15 મે કરી દીધી છે.
(સંકેત)