1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા શિક્ષકદિને ‘ શ્રેષ્ઠ ટેક ગુરૂ ’ એવોર્ડ રાષ્ટ્રીય સ્તરે અપાશે
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા  શિક્ષકદિને ‘ શ્રેષ્ઠ ટેક ગુરૂ ’ એવોર્ડ રાષ્ટ્રીય સ્તરે અપાશે

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા શિક્ષકદિને ‘ શ્રેષ્ઠ ટેક ગુરૂ ’ એવોર્ડ રાષ્ટ્રીય સ્તરે અપાશે

0
Social Share

અમદાવાદ‌  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા દેશના દ્રિતીય રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતીની ઉજવણીના ઉપક્રમે શ્રેષ્ઠ ‌ટેક ગુરુ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જીટીયુ સંલગ્ન કૉલેજોના 6 અધ્યાપકોનું અભિવાદન કરીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમાના મુખ્ય મહેમાન અને વક્તા સ્થાને લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશનના કુલપતિ ભદ્રાયુ વછરાજાનીએ ઉપસ્થિત રહીને આ પ્રસંગે જણાવ્યું હતું કે, શિક્ષક અને શિક્ષણ બન્નેની વ્યાખ્યા વર્તમાન સમયમાં બદલાઈ છે. માત્ર જ્ઞાની હોવાથી નહીં પરંતુ શ્રમ કરી શકે , વિદ્યાર્થીઓ માટે આદર્શ ચારિત્ર સાબિત થઈ શકે તે સાચો શિક્ષક છે, જ્યારે ઈચ્છા શક્તિનો પ્રવાહ સતત વહેતો હોય અને આવિષ્કાર સફળ ફળદાયી બને તે શિક્ષણ છે.

આ કાર્યક્રમના ગેસ્ટ ઓફ ઓનર અને આઈઆઈટીઈ ગાંધીનગરના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે સંબોધતા જણાવ્યું કે, ટેક ગુરૂ એવોર્ડ માટે જીટીયુ એ જે પારદર્શક નીતિ અપનાવી છે , તે તમામ યુનિવર્સિટીએ અપનાવવાની જરૂર છે. સંવેદનાનું શિક્ષણ આપીને દરેક શિક્ષક જો વિદ્યાર્થીના નજીક રહશે તો વર્ગખંડનું શિક્ષણ પ્રભાવિત થશે. જે દેશ વિકાસ માટે ઉત્તમ ભાવી પેઢીનું સર્જન કરશે. આ પ્રસંગે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે , વર્ષ 2019થી જીટીયુ દ્વારા ટેક્નોલોજી શિક્ષણ  , રીસર્ચ અને ઈનોવેશન સાથે સંકળાયેલા રાજ્યના શિક્ષકોને ટેક –ગુરૂ એવોર્ડ આપીને સન્માનવામાં આવ્યા છે. પરંતુ આગામી વર્ષ 2023થી AICTE સંલગ્ન દેશની તમામ યુનિવર્સિટીમાંથી આવેદન મંગાવીને તેમાંથી શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરીને રાષ્ટ્રીય કક્ષાએ જીટીયુ ટેક-ગુરૂ એવોર્ડ આપવાની શરૂઆત કરશે. જીટીયુ કુલસચિવ ડૉ. કે. એન. ખેર સહિત તમામ પીજી સ્કૂલના ડાયરેક્ટર્સ અને જીટીયુના અધિકારીશ્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

વર્ષ-2019થી ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ યોગ્યતા ધરાવતાં શ્રેષ્ઠ અદ્યાપકને જીટીયુ દ્વારા “ટેક ગુરૂ એવોર્ડ” આપવામાં આવે છે. વર્ષ 2022ના ટેક ગુરુ એવોર્ડ માટે BVM એન્જિનિયરીંગ કૉલેજ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરીંગ શાખાના પ્રોફેસર ડૉ. જગદિશકુમાર રાઠોડની પસંદગી કરવામાં આવી છે. ટેક ગુરુ એવોર્ડ માટે જીટીયુ સંલગ્ન તમામ કોલેજમાંથી અરજીઓ મંગાવવામાં આવી હતી. એકેડેમિક યોગદાન , રિસર્ચ , પબ્લિકેશન અને પેટર્ન સંબંધિત વિવિધ મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તજજ્ઞ કમિટી દ્વારા રાજ્યભરમાંથી શ્રેષ્ઠ અધ્યાપકોને ટેક ગુરુ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે. એવોર્ડ પ્રાપ્ત કરનારા ડૉ. જગદિશકુમાર રાઠોડના નામે 19 ભારતીય અને 1 ઓસ્ટ્રેલિયન પેટર્ન નોંધાયેલી છે. તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 140થી વધુ ટેક્નિકલ પેપર્સ પણ રજૂ કરેલા છે. તેમના માર્ગદર્શન હેઠળ 10 વિદ્યાર્થીઓ પી.એચડી કરી ચૂક્યા છે અને વર્તમાન સમયમાં અન્ય 8 વિદ્યાર્થીઓ પી.એચડી કરી રહ્યા છે. 50થી વધુ વર્કશોપ , સેમિનાર અને ટ્રેનિંગ આપી ચૂક્યા છે. તેમજ 16થી વધુ વર્કશોપનું આયોજન કર્યુ છે.  વિશેષમાં ટેક્નિકલ અને ફાર્મસી ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર ડૉ. જ્યંતિ ચાવડા , ડૉ. અનિતા મહેતા, પ્રો. પી. આઈ . ભટ્ટ, ડૉ. લક્ષ્મણસિહ ઝાલા. ડૉ. અરવિંદકુમાર વર્મા અને શ્રીમતી મમતા દેસાઈનું અભિવાદન કરીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code