કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલે ખૂલશે, મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડશે
નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી 2026: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આવેલા પ્રસિદ્ધ બાબા કેદારનાથ ધામના કપાટ આ વર્ષે તારીખ 22 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યે ખૂલશે અને તેની સાથે જ 6 મહિના સુધી ચાલનારી કેદારનાથ યાત્રાની શરૂઆત થશે. મહાશિવરાત્રીના અવસરે પંચકેદાર ગદ્દી સ્થળ ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં વૈદિક વિધિ-વિધાન અને પંચાંગ ગણના બાદ શુભ મુહૂર્તની ઔપચારિક ઘોષણા કરવામાં આવી છે. કપાટ ખુલવાની તિથી નક્કી કરવામાં આવતા જ પ્રશાસન અને મંદિર સમિતિએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જાહેરાત બાદ જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ટી ગંગાધર લિંગને બાબા કેદારનાથ ધામમાં મુખ્ય પૂજારીની જવાબદારી સોંપવામાં આવી છે. પરંપરા મુજબ, પૂજા-અર્ચના દક્ષિણ ભારતના રાવલ પૂજારીઓ જ કરે છે. શ્રદ્ધાળુઓ હવે બાબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. કેદારનાથ ધામના કપાટ ખુલ્યાના એક દિવસ બાદ બદ્રીનાથ મંદિરના દ્વાર 23 એપ્રિલે બ્રહ્મમુહૂર્તમાં સવારે 6.15 વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. જેની જાહેરાત વસંત પંચમીના દિવસે કરવામાં આવી હતી.
જયારે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ અક્ષય તૃતીયાના દિવસે 19 એપ્રિલે વિધિ-વિધાનની સાથે ખોલવામાં આવશે. જો કે આ બંને ધામોના સટીક શુભ મુહૂર્તની જાણકારી મંદિર સમિતિએ આગામી દિવસોમાં જાહેર કરશે. જેની રાહ શ્રદ્ધાળુઓ જોઈ રહ્યા છે. ચારધામ યાત્રાને લઈને સરકાર અને સ્થાનિક તંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.


