
પશ્ચિમ બંગાળ: ગૃહમંત્રી અમિત શાહ પરિવર્તન યાત્રાના ચોથા તબક્કાની શરૂઆત કરશે
- પરિવર્તન યાત્રાના ચોથા તબક્કાની શરૂઆત
- અમિત શાહ કરશે પરિવર્તન યાત્રાની શરૂઆત
- ઠાકુરબાડી મેદાનમાં જાહેર સભાને કરશે સંબોધિત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુરુવારે કૂચ બિહારથી ભાજપની પરિવર્તન યાત્રાના ચોથા તબક્કાની શરૂઆત કરશે અને એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. ભાજપ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં પાર્ટીના મુખ્ય પ્રવક્તા અનિલ બલૂનીએ કહ્યું કે, શાહ ઠાકુરબાડી મેદાનમાં જાહેર સભાને સંબોધિત કરશે.
તેમણે કહ્યું કે, સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી કોલકતાના સાયન્સ સિટી ઓડિટોરિયમની પણ મુલાકાત લેશે,જ્યાં તેઓ પાર્ટીના સોશ્યલ મીડિયા સ્વયંસેવકોની બેઠકને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ શાહનો પશ્ચિમ બંગાળ પ્રવાસ દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસાને કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો.
આ અગાઉ મંગળવારે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ બે પરિવર્તન યાત્રાને લીલીઝંડી આપી હતી. એક તારાપીઠ મંદિરના ચિલ્લર મઠથી અને બીજું ઝારગ્રામના લાલગઢ સાજીબ સંઘ મેદાનમાંથી. પશ્ચિમ બંગાળની તમામ 294 વિધાનસભા બેઠકો પર પહોંચવા માટે ભાજપે પાંચ તબક્કામાં પરિવર્તન યાત્રા કરવાની યોજના બનાવી છે.
-દેવાંશી