
વિધાનસભામાં બજેટ સત્રના અંતિમ તબક્કામાં રજૂ કરાશે લવ જેહાદ વિધેયક
અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી લવ જેહાદના બનાવોમાં વધારો થયો છે. આવા બનાવો અટકાવવા માટે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારે કાયદો બનાવ્યો છે. બીજી તરફ ગુજરાતમાં પણ લવ જેહાદ કાયદાની માંગણી ઉઠી હતી. તેમજ સરકારે પણ કાયદા ઉપર વિચારણા શરૂ કરી હતી. દરમિયાન વિધાનસભાના બજેટ સત્રના અંતિમ તબક્કામાં ગુજરાતમાં લવ જેહાદ વિધેયક રજૂ કરવામાં આવે તેવી શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી લવ જેહાદના બનાવો અટકે તે માટે કાયદો લાવવાની માંગણી ઉઠી હતી. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રીએ પણ લવ જેહાદના કાયદાને લઈને વિધાનસભાના બજેટ સત્રમાં વિધેયક રજૂ કરવાનું જણાવ્યું હતું. તેમજ સરકાર દ્વારા ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના લવ જેહાદ કાયદાની સમીક્ષા કરવામાં આવી છે. એટલું જ નહીં કાયદા નિષ્ણાતો સાથે આ અંગે ચર્ચા પણ કરવામાં આવી છે. હવે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ તબક્કામાં આ વિધેયક રજૂ કરવામાં આવે તેવી શકયતા છે. તેમજ સર્વે સંમતિથી વિધેયકને પાસ કરવામાં આવશે.