
અમદાવાદ : ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. બજારોમાં પતંગ દોરીની ખરીદી પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં ચાઇનિઝ દોરી- તુક્કલના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકાયો છે. તેમ છતાં ખાનગી રીતે અનેક જગ્યાએ ચાઈનિઝ દોરી અને તુક્કલનું વેચાણ ચાલી રહ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. ચાઇનિઝ દોરીથી માનવી અને પશુ-પક્ષીઓને ગંભીર નુકશાન થાય છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ચાઈનિઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું 31 જાન્યુઆરી સુધી અમલી રહેશે. જેમાં ચાઇનિઝ દોરી અને તુક્કલના ઉપયોગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કડક કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના મહાનગરોમાં પ્રતિબંધિત અને જોખમી ગણાતી ચાઈનીઝ દોરા બજારોમાં ખૂલ્લેઆમ વેચાઈ રહ્યાં છે. આ દોરા પશુઓ ઉપરાંત માનવી માટે પણ જાનલેવા હોઈ તેનું વેચાણ સત્વરે અટકાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને.કેટલીક સામાજિક સંસ્થાઓએ લેખિત રજૂઆત કરી છે. ચાઈનીઝ દોરાં અને તુક્કલો એ માત્ર પ્રાણીઓ અને પશુઓ જ નહીં, માનવી માટે પણ જોખમી છે. આ દોરા કાચ અને આરોગ્યને નૂકશાનકારક એવા જોખમી રસાયણો ઉમેરી બનાવાય છે. આ ચાઈનીઝ દોરાં નાયલોન અથવા સિન્થેટિક મટીરીયલ ઉમેરી તેમાં કાચ અને મેટલ જેવા તત્વો ઉમેરી તેને વધુ ધારદાર બનાવાય છે. રાજ્યમાં હાલ વેચાતાં અન્ય કોટનના દોરાની સરખામણીમાં આ દોરાં કપાતાં નથી પરંતુ તે ચામડી ચીરી નાંખી ઉંડો ઘા કરે છે. એટલું જ નહીં. તે વીજપ્રવાહ વાહક પણ છે. જમીન ઉપર પડતાં તે પર્યાવરણને ગંભીર નૂકશાન પહોંચાડે છે, કેમ કે અન્ય તત્વોની જેમ તેનું જમીનમાં વિઘટન થતું જ નથી. ચાઈનિઝ દોરા એટલા ઘાતક હોય છે કે, તેનાથી હાથપગની નસો અને ગળાના ભાગે પણ ગંભીર ઈજાઓ થઈ હોવાના કિસ્સા ભૂતકાળમાં નોંધાઈ ચુક્યા છે.
અત્રે નોંધનીય છે કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે 2016માં તેની ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે વર્ષ 2017માં તેના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ મુદ્દે તપાસ કરી શહેરના બજારોમાં વેચાતાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરા પર અમલી પ્રતિબંધના તત્કાળ અમલ કરાવી તેનુ વેચાણ અટકાવવાની માંગ તેમણે કરી છે.