દુનિયા પર મંડરાતું કચરાનું સંકટ: 2050 સુધીમાં કચરાનો પહાડ 3.9 અબજ ટન પર પહોંચશે
ન્યૂયોર્ક, 31 માર્ચ 2026: વિશ્વ અત્યારે એક એવા ભયાનક કચરાના સંકટ તરફ આગળ વધી રહ્યું છે, જે આગામી દાયકાઓમાં પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય અને વૈશ્વિક અર્થતંત્ર માટે ગંભીર ખતરો બની શકે છે. વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP) ના તાજેતરના અહેવાલો મુજબ, વર્ષ 2022 માં વૈશ્વિક સ્તરે આશરે 2.6 અબજ ટન કચરો પેદા થયો હતો, જે વર્ષ 2050 સુધીમાં વધીને 3.9 અબજ ટન સુધી પહોંચવાની આશંકા છે.
UNEP ના ‘ફૂડ વેસ્ટ ઇન્ડેક્સ’ રિપોર્ટ અનુસાર, વિશ્વમાં દર વર્ષે લગભગ 1 અબજ ટન ખોરાક વેડફાય છે. ચોંકાવનારી વાત એ છે કે આ બગાડમાં સૌથી મોટો હિસ્સો એટલે કે 60 ટકા હિસ્સો માત્ર ઘરેલું સ્તરેથી આવે છે. રેસ્ટોરન્ટ્સ અને હોટલો કરતા પણ ઘરોમાં થતી અન્નની બરબાદી આ સંકટને વધુ ઘેરું બનાવી રહી છે. રિપોર્ટ અનુસાર, દુનિયામાં ઉત્પાદિત થતા કુલ ભોજનનો પાંચમો ભાગ ગટરમાં અથવા કચરાપેટીમાં જાય છે.
કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે માનવ સ્વાસ્થ્ય પર તેની સીધી અસર પડી રહી છે. કચરાના સડવાથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે, જેનાથી કેન્સર, અસ્થમા અને શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓ વધી રહી છે. કચરો જમીનમાં ભળવાથી ભૂગર્ભજળ અને માટી દૂષિત થાય છે, જે આડકતરી રીતે આપણા આહારમાં ઝેર ભેળવે છે. જૈવિક કચરો સડવાથી ‘મિથેન’ જેવા ગ્રીનહાઉસ ગેસ મુક્ત થાય છે, જે આબોહવા પરિવર્તનની ગતિ તેજ કરે છે.
ખરાબ કચરા વ્યવસ્થાપનને કારણે પર્યટન અને કૃષિ ક્ષેત્રને મોટું નુકસાન થઈ રહ્યું છે. વિશ્વ બેંકના મતે, ઓછી આવક ધરાવતા દેશોમાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે કારણ કે ત્યાં વસ્તી વધી રહી છે પણ કચરો સંભાળવા માટે પૂરતું માળખું નથી. નિષ્ણાતો માને છે કે કચરા વ્યવસ્થાપનમાં રોકાણ એ ખર્ચ નહીં, પરંતુ ભવિષ્ય માટેનું ‘દીર્ઘકાલીન બચાવ કવચ’ છે.
UNEP અને વિશ્વ બેંકે ભારપૂર્વક જણાવ્યું છે કે માત્ર સરકારની નીતિઓથી આ સંકટ નહીં ટળે. સામાન્ય નાગરિકોએ પણ પોતાની જવાબદારી સમજવી પડશે. સંસ્થાઓ અનુસાર, ખોરાકનો બગાડ અટકાવવો, કચરાનું વર્ગીકરણ અને રિસાયક્લિંગ જરૂરી છે. જો અત્યારે આ આદતોમાં સુધારો કરવામાં નહીં આવે, તો આગામી 25 વર્ષોમાં કચરાનું આ સંકટ કાબૂ બહાર જઈ શકે છે અને પૃથ્વી પર માનવજીવન મુશ્કેલ બની જશે.


