રાજકોટ-જેતપુર હાઈવે પર લાખો રૂપિયાનો ટોલટેક્સ ઉઘરાવાય છે, છતાં હાઈવેની હાલત બિસ્માર
રાજકોટઃ ગુજરાતમાં રાષ્ટ્રીય અને રાજ્યઘોરી માર્ગો પર ઠેર ઠેર ટોલનાકા ઊભા કરી દેવામાં આવ્યા છે. અને લાખો રૂપિયાનો ટોલ ઉઘરાવવા છતાં હાઈવેની મરામત યોગ્યરીતે કરાતી નથી. જેતપુર-રાજકોટ હાઈવે પર બે ટોલનાકા ઊભા કરાયા છે. અને વર્ષે દહાડે લાખો રૂપિયાનો ટોલ વસુલવામાં આવે છે. છતાં હાઈવેની હાલત બિસ્માર છે. હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ નિષ્ક્રિય છે.
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે. ખાડાઓને કારણે વાહનચાલકો ભારે પરેશાની ભાગવી રહ્યા છે. જેતપુર પાસે બે-બે ટોલ પ્લાઝા આવેલા છે. જેમાં 24 કલાકમાં વાહનચાલકો પાસેથી લાખો રૂપિયા વસૂલવામાં આવે છે. છતાં હાઈવેની મરામત માટે પણ ફુરસદ મળતી નથી. રાજકોટથી જેતપુરનું અંતર 70 કિલોમીટર જેવું થાય છે. એક કલાકના રસ્તાને પાર કરતા 2 કલાકનો સમય લાગે છે. કારણ કે, ઠેર ઠેર એકથી બે ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. આથી વાહનચાલકોને ધીમે ધીમે ગાડીઓ ચલાવવી પડે છે. નેશનલ હાઇવે પર જ આવી સ્થિતિ હોય તો સામાન્ય રોડ-રસ્તાઓની શું સ્થિતિ હશે તેવી ચર્ચા લોકોમાં ઉઠી છે. તેમાંય બન્ને ટોલપ્લાઝા પર ફાસ્ટટેગ હોય 40-40 અને ન હોય તો જાવકમાં એક જગ્યાએ 80 રૂપિયા વસૂલાય છે. આમ લોકો પાસેથી ટોલ ટેક્સના પૈસા વસૂલાય છે પરંતુ તેની સામે ખાડા પણ બૂરવામાં આવતા નથી. નેશનલ હાઇવે પર આ રીતના ખાડાથી વાહનચાલકો પણ કામ વગર જવાનું ટાળી રહ્યા છે. ટોલ ટેક્સના પૈસા વસૂલાય છે પણ સામે ખાડા બૂરાય તેટલો ખર્ચ પણ કરવામાં આવતો નથી. આમાં નવો રોડ બનાવવાની વાત તો દૂર રહી. માત્ર ખાડા બૂરવામાં આવે તો પણ વાહનચાલકોને ઘણી રાહત મળી રહે તેવી માગણી લોકો દ્વારા કરવામાં આવી છે.