1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધોરણ 10 અને 12ની 11મી માર્ચથી શરૂ થતી પરીક્ષા માટે શિક્ષણ બોર્ડે જાહેર કર્યો એક્શનપ્લાન,
ધોરણ 10 અને 12ની 11મી માર્ચથી શરૂ થતી પરીક્ષા માટે શિક્ષણ બોર્ડે જાહેર કર્યો એક્શનપ્લાન,

ધોરણ 10 અને 12ની 11મી માર્ચથી શરૂ થતી પરીક્ષા માટે શિક્ષણ બોર્ડે જાહેર કર્યો એક્શનપ્લાન,

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ધોરણ 10 અને 12ની સામાન્ય-વિજ્ઞાન પ્રવાહની તેમજ ગુજકેટની પરીક્ષા શાંતિમય અને પ્રફુલીત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. આગામી તા. 11 થી 22 માર્ચ 2024 દરમિયાન  ધોરણ 10 અને 12ના પરીક્ષા યોજાશે. જેમાં ધોરણ 10  પરીક્ષામાં કુલ 9,17,687 વિદ્યાર્થી ભાઈ-બહેનો પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે . તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279  વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ  ઉપરાંત તા. 31 માર્ચ 2024ના રોજ યોજાનાર ગુજકેટની પરીક્ષામાં 1,37,700  વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ ગુજરાતમાં આગામી 11 માર્ચથી 31 માર્ચ સુધીમાં કુલ 16,76,739  વિદ્યાર્થીઓ બોર્ડ-ગુજકેટની પરીક્ષા આપીને પોતાની સફળ કારકિર્દીનો પ્રારંભ કરશે તેમ, રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી  ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું.

પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આગામી તા. 11 થી 22 માર્ચ 2024  દરમિયાન રાજ્યભરના વિવિધ 84 ઝોનમાં 981  કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા યોજાશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં 56  ઝોનમાં 653  કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. આ ઉપરાંત રાજ્યના 34  ઝોનના 34  કેન્દ્રો પર આગામી તા. 31  માર્ચના રોજ સવારે 10 થી 04  દરમિયાન ગુજકેટની પરીક્ષા યોજાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાની વિગતો જણાવતા કહ્યું હતું કે,પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરે નહિ અને પ્રમાણિકતાથી પરીક્ષા આપે તે જરૂરી છે. બોર્ડની જાહેર પરીક્ષાના તમામ પરીક્ષા સ્થળો (બિલ્ડીંગો) C.C.T.V. કેમેરાની દેખરેખ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. PATA એપ્લીકેશન દ્વારા પ્રશ્નપત્રોની ઝોનલ કચેરીથી પરીક્ષા સ્થળ સુધી અને પરીક્ષા સ્થળ ખાતે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીનું ટ્રેકિંગ કરવામાં આવશે. પરીક્ષા સ્થળ કે પરીક્ષા ખંડમાં મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેટલાક તત્વો દ્વારા પ્રશ્નપત્ર અંગે સોશિયલ  મિડિયામાં ગેરમાર્ગે દોરવાના સમાચારો ફેલાવવામાં આવે છે તેનાથી સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓએ સજાગ રહેવું અને અફવાઓ ધ્યાને ન લેવી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, મહાનગર પાલિકા વિસ્તારમાં ટ્રાફિકવાળા વિસ્તારોમાં આવવા જવા માટે વિદ્યાર્થીઓએ ઘરથી પરીક્ષા સ્થળનું અંતર અને ટ્રાફિક ધ્યાને લઈને નીકળવું જેથી સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાય. પરીક્ષા સ્થળ ખાતે પહોંચવામાં રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉદભવે તો 100  નંબર ઉપરથી પોલીસની સહાય મેળવીને પણ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાશે. પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત કર્યેથી 3 વર્ષ કરતાં ઓછી ન હોય અને 5 વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા રૂ।.2.00,000 /- સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે,

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code