
રાજપીપળાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. તેમજ સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ભરાવાની તૈયારીમાં હોય ડેમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે. જેથી સ્ટચ્યુની આસપાસમાં અનોખો નજારો જોવા મળી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનીટી વિસ્તારમાં પણ વનરાજી ખીલી ઊઠતા સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યુ છે. જેને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.
કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વરસાદી માહોલથી હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી વાતાવરણને કારણે સાતપુડા અને વિંધ્યાચલની ગિરીકંદરા વચ્ચે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આહલાદક દ્રશ્ય સર્જાયા છે. ત્યારે વાદળો વચ્ચે સરદાર પટેલની પ્રતિમા સાથે મેઘ ઘનુષ્યનો અદભૂત આકાશી નજારો સર્જાયો હતો. સમી સાંજે વરસાદના વિરામ બાદ અચાનક સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મેઘધનુષ્ય જોવા મળ્યુ હતું. આ મેઘધનુષ સરદાર પટેલની પ્રતિમા પાસે જોવા મળતા પ્રવાસીઓમાં કુતુહલ સર્જાયુ હતું. સરદાર પટેલ પર આકાશથી સપ્તરંગી અભિષેક થતો હોય તેવું લાગી રહ્યું હતું.
સાતપુડા અને વિધ્યાંચલની ગીરીકંદરાઓ વચ્ચે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. ત્યારે આવા સુંદર વાતાવરણમાં વહેલી સવારના વરસાદી ઝાપટા પડ્યા બાદ વરસાદના વિરામ બાદ અચાનક મેઘધનુષ્ય દેખાતાં પ્રવાસીઓમાં કુતુહલ સર્જાયું હતું. જાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કુદરતે શણગાર સજ્યો હોય તેમ સુંદર દ્રશ્યો 2થી ત્રણ મિનિટ માટે લોકોને જોવા મળ્યા હતા. હાલમાં 15મી ઓગષ્ટને લઈને તિરંગાનો માહોલ આખા દેશમાં છવાયો છે. સાથે હરઘર તિરંગા અભિયાન જેવો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુદરતી માહોલ જોવા મળ્યો હતો. જાણે કુદરતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મેઘ ધનુષ્યની રચના કરી હતી અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ.આપી હોય એવું જોવા મળ્યું હતું.