
અમરેલીઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં અમરેલી જિલ્લામાં બગસરા-જેતપુર હાઈવે વધુ એક અકસ્માત સર્જાયો હતો. બગસરા નજીક હાઈવે પર પૂરફાટ ઝડપે ખાનગી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડ પર પલટી ખાતા બે પ્રવાસીના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 16 પ્રવાસીઓને ઈજાઓ થતાં સારવાર માટે બગસરાની હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બસમાં કુલ 35 લોકો સવાર હતા અને સામાજિક પ્રસંગમાં હાજરી આપીને પરત આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, અમરેલીથી 35 મુસાફરો સાથે ખાનગી ટ્રાવેલ્સની બસ વિસાવદર તરફ જઇ રહી હતી, ત્યારે બગસરા-જેતપુર હાઇવે પર બગસરા શહેરથી ત્રણ કિલોમીટર દૂર બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં બસ પલટી જતા બે પ્રવાસીના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં, જ્યારે 16થી વધુ પ્રવાસીઓને ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે બગસરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતનો બનાવ બન્યો ત્યારે જૂનાગઢ અને અમરેલી ઇલેક્શન ઓબ્ઝર્વર આઇપીએસ અધિકારી નઝીમ ભાસિન રોડ પરથી પસાર થઇ રહ્યા હતા, જેમણે તાત્કાલિક કાર ઊભી રાખી પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરીને ઇજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે એ માટે તરત હોસ્પિટલ ખસેડ્યા હતા. આ અકસ્માતને લીધે હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર બસના ડ્રાઇવરની ધરપકડ કરી હતી. આ બસમાં સવાર લોકો કંકુપગલાંના પ્રસંગમાં હાજરી આપીને પરત આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અકસ્માતની ઘટનામાં 60 વર્ષીય ગીતાબેન હસમુખભાઈ અને આરતીબેન હિરેનભાઈના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બાળકો, મહિલાઓ, યુવાનો સહિત 16 જેટલા લોકોને નાના-મોટી ઇજાઓ પહોંચી હતી.