નવી દિલ્હી, 27 માર્ચ 2026: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને પ્રધાનમંત્રી મોદીને “કામ પૂરું કરનારા લીડર” ગણાવ્યા હતા. ડોનાલ્ડના આ નિવેદનને ભારતમાં સ્થિત અમેરિકી દૂતાવાસે શુક્રવારે(27 માર્ચ) દોહરાવ્યું હતું. આ સાથે દૂતાવાસે જણાવ્યું કે, આગામી વર્ષોમાં ભારત અને અમેરિકાના સંબંધો વધુ ગાઢ બનશે.
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકી દૂતાવાસની આ સોશિયલ મીડિયા પોસ્ટ તેના ટાઈમિંગને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. એક્સ (X) પર કરવામાં આવેલી પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, “ભારત સાથેના અમારા શાનદાર સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત થશે. પ્રધાનમંત્રી મોદી અને હું એવા બે વ્યક્તિઓ છીએ જે કામ પૂરું કરવામાં માને છે, જે મોટાભાગના લોકો માટે કહી શકાતું નથી.”
આ મહત્વપૂર્ણ નિવેદન બંને નેતાઓ વચ્ચે મંગળવારે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ આવ્યું છે. આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ ઈરાન સંઘર્ષ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ગંભીર ચર્ચા કરી હતી. જેમાં પ્રધાનમંત્રી મોદીએ પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા અને વૈશ્વિક વેપાર માટે હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ભારત આ વિસ્તારમાં તણાવ ઘટાડવા અને વહેલી તકે શાંતિની પુનઃસ્થાપનાનું સમર્થન કરે છે.
ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ સ્થિતિ વણસી છે. ઈરાને વળતા પ્રહારમાં મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે, જેની સીધી અસર વૈશ્વિક બજાર અને તેલની કિંમતો પર પડી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રમ્પ અને મોદી વચ્ચેની વ્યક્તિગત કેમિસ્ટ્રી અને વ્યૂહાત્મક ભાગીદારી નવી ઊંચાઈએ પહોંચી છે. સંરક્ષણ, વેપાર અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં બંને દેશો એકબીજાના પૂરક બનીને ઉભરી રહ્યા છે. બંને પક્ષો પ્રાદેશિક સુરક્ષા અને વૈશ્વિક શિપિંગ લેનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત સંપર્કમાં રહેવા સંમત થયા છે.
વધુ વાંચો: કેન્દ્ર સરકારનો નિર્ણય: પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં રૂ. 10નો ઘટાડો


