1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકન સેનાએ ઈરાનના મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર પર સૈન્ય ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યાઃ ટ્રમ્પ
અમેરિકન સેનાએ ઈરાનના મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર પર સૈન્ય ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યાઃ ટ્રમ્પ

અમેરિકન સેનાએ ઈરાનના મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર પર સૈન્ય ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યાઃ ટ્રમ્પ

0
Social Share

ન્યૂયોર્ક, 14 માર્ચ 2026: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાએ ઈરાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાતા ‘ખર્ગ આઈલેન્ડ’ પર ભીષણ બોમ્બમારો કરી મોટો હુમલો કર્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાની પુષ્ટિ કરતા દાવો કર્યો છે કે, અમેરિકન સેનાએ ઈરાનના મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર પર સ્થિત તમામ સૈન્ય ઠેકાણાઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરી દીધા છે. જોકે, ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે માનવતાના ધોરણે તેમણે હાલ પૂરતું તેલના આંતરમાળખાકીય માળખાને નુકસાન ન પહોંચાડવાનો નિર્ણય લીધો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “મારા નિર્દેશ પર અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે મધ્ય પૂર્વના ઈતિહાસનો સૌથી શક્તિશાળી બોમ્બમારો કર્યો છે. ઈરાનના ખર્ગ આઈલેન્ડ પરના દરેક સૈન્ય ઠેકાણાઓને અમે તોડી પાડ્યા છે.”

તેમણે વધુમાં ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો ઈરાન ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં જહાજોની અવરજવરમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ઉભો કરશે, તો અમેરિકા તેના તેલના કૂવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તબાહ કરતા પણ ખચકાશે નહીં. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઈરાન પાસે અમેરિકાના હુમલા સામે ટકી રહેવાની કોઈ ક્ષમતા નથી.

ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીથી ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા શરૂ કરાયેલા સંયુક્ત હુમલાઓમાં ઈરાનને વ્યાપક નુકસાન વેઠવું પડ્યું છે. આ ભીષણ યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 2000થી વધુ લોકોના મોત થયા હોવાનો અંદાજ છે, જેમાં એકલા ઈરાનમાં 1200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ સિવાય લેબનાન અને ઈરાકમાં પણ જાનહાનિના અહેવાલો સામે આવ્યા છે. ટ્રમ્પે અંતમાં ઉમેર્યું કે, ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર નહીં હોય અને તેની સેના માટે હથિયાર હેઠા મૂકી દેવા એ જ અત્યારે સમજદારી છે.

વધુ વાંચો: ભારતીય LPG જહાજ ‘શિવાલિક’ હોર્મુઝથી સુરક્ષિત પસાર થયું

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code