ઉત્તરપ્રદેશઃ સ્કૂલબસ અને સ્કૂલવાન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 4 બાળકો સહિત 5ના મોત, 20 બાળકો ઈજાગ્રસ્ત
લખનૌઃ ઉત્તરપ્રદેશના બદાયું જિલ્લામાં મ્યાઉં પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવીગંજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સ્કૂલ બસ અને સ્કૂલ વાન વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર બાળકો સહિત પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. મૃતકોમાં સ્કૂલ બસનો ચાલક અને તેના દીકરાનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં 20 બાળકો પણ ઈજાગ્રસ્ત થયાં હતા. અકસ્માત બાદ સ્કૂલ સંચાલક શાળાને તાળા મારીને પલાયન થઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર જવાબર નગલા માયાઉં-ઉસાવાં માર્ગ ઉપર આવેલી સત્યદેવ વિદ્યાપીઠ ઈન્ટર કોલેજની બસ અને એસઆર પબ્લીક સ્કૂલની વાન નજીકના ગામના બાળકોને લઈને જઈ રહી હતી. નવીગંજ નજીક સ્કૂલ બસ અને વિદ્યાર્થીઓ ભરેલી વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો.
આ અકસ્માત એટલો ખતરનાક હતો કે, સ્કૂલવાનના ફુડચે-ફુડચા ઉડી ગયા હતા. અકસ્માતને પગલે બંને વાહનમાં સવાર વિદ્યાર્થીઓની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ બનાવને પગલે આસપાસના સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરીને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
આ બાવને પગલે ડીએમ મનોજ કુમાર અને એસએસપી ડો.ઓપી સિંહ પણ સ્થળ પર દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોની યોગ્ય સારવાર માટે નિર્દેશ કર્યો હતો. તેમજ પીડિત પરિવારજનો સાથે સંવાદ કર્યો હતો. જિલ્લા કલેક્ટરે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ કર્યાં હતા.
આ દૂર્ઘટનામાં સ્કૂલ બસના ચાલક ઓમેન્દ્ર, કૌશલ્યા હરવંશ, પ્રદીપ મદનલાલ, ખુશી પ્રદીપ અને બસના ચાલક ઓમેંદ્રનો દીકરા હર્ષિતનું મોત થયું હતું. જ્યારે અનેક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.