
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 600 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો હતો. વિકાસ અને આર્થિક અસંતુલન દૂર કરવા, રોજગારીની તકો ઊભી કરવા અને માથાદીઠ આવક વધારવાના હેતુથી આ એક્સપ્રેસ-વેને ઐતિહાસિક ગણાવવામાં આવી રહ્યો છે.
વડા પ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરવાની વડા પ્રધાનની વિઝન આ એક્સપ્રેસ વેના નિર્માણ માટે પ્રેરણારૂપ છે. આ પહેલા પીએમ મોદીએ ગયા મહિને 16 નવેમ્બરે સુલતાનપુર જિલ્લામાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું હતું. ગંગા એક્સપ્રેસ-વેને પણ તેમની ગતિશક્તિ યોજનાનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે.
આ એક્સપ્રેસ-વે ગંગાના કિનારે દિલ્હી બોર્ડરથી બલિયા સુધી 1020 કિલોમીટરમાં બનાવવાનો પ્રસ્તાવ છે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં, આ 594 કિલોમીટર લાંબો છ લેન એક્સપ્રેસ-વે મેરઠના બિજૌલી ગામ નજીકથી શરૂ થશે અને પ્રયાગરાજના જુડાપુર દાંડુ ગામ સુધી જશે. જેનો પીએમ મોદીએ આજે શિલાન્યાસ કર્યો હતો. તે રૂ. 36,200 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવશે.
એક્સપ્રેસ-વે એકવાર સંપૂર્ણ રીતે નિર્માણ થયા પછી એક્સપ્રેસ-વે ઉત્તર પ્રદેશનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે બની જશે, જે રાજ્યના પશ્ચિમ અને પૂર્વીય વિસ્તારોને જોડશે. પ્રોજેક્ટના બીજા તબક્કામાં, પ્રયાગરાજથી બલિયા સુધી કુલ 316 કિલોમીટરની લંબાઈમાં એક્સપ્રેસ-વે બનાવવામાં આવશે.
ફેઝ-2માં જ દિલ્હીના ટિગરીથી યુપી બોર્ડર સુધી 110 કિલોમીટરમાં એક એક્સપ્રેસ-વે પ્રસ્તાવિત છે. ગંગા એક્સપ્રેસ-વે પર શાહજહાંપુરમાં 3.5 કિમી લાંબી એરસ્ટ્રીપ પણ બનાવવામાં આવશે, જે એરફોર્સના એરક્રાફ્ટને ઈમરજન્સી ટેક-ઓફ અને લેન્ડિંગમાં મદદ કરશે. એક્સપ્રેસ-વેની સાથે ઔદ્યોગિક કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ પણ છે.
એક્સપ્રેસ-વે પર ટ્રોમા સેન્ટર બનાવવાનો પ્રસ્તાવ પણ છે. એક્સપ્રેસ-વે પર ઘણી જગ્યાએ હેલુપેડ જેવી સુવિધા ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી ત્યાંથી એર એમ્બ્યુલન્સની સુવિધા શરૂ કરી શકાય. આ એક્સપ્રેસ-વે મેરઠ, હાપુડ, બુલંદશહર, અમરોહા, સંભલ, બદાઉન, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજમાંથી પસાર થશે. આ એક્સપ્રેસ-વે માટે જરૂરી 518 ગ્રામ પંચાયતોની 7368 હેક્ટર જમીનનું લગભગ 96 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ આ એક્સપ્રેસ-વેની સૌપ્રથમ કલ્પના કરી હતી. વર્ષ 2007માં જ્યારે માયાવતીએ નવું સોશિયલ એન્જિનિયરિંગ કરીને રાજ્યમાં સંપૂર્ણ બહુમતીની સરકાર બનાવી, ત્યારે તેમણે 1047 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસ-વેની યોજના બનાવી હતી, જે દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડાથી શરૂ થઈને બિહાર નજીકના બલિયા સુધી પ્રસ્તાવિત હતી. એક NGO એ પ્રોજેક્ટને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો. 2009માં અલ્હાબાદ હાઈકોર્ટે પ્રોજેક્ટને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે તે પર્યાવરણ સુરક્ષા કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ છે.
માયાવતીએ ગંગાના કિનારે આ હાઈવે બનાવવાનો પ્રોજેક્ટ બનાવ્યો હતો. 10 વર્ષ બાદ માયાવતીની ભૂલમાંથી બોધપાઠ લઈને યોગી સરકારે જાન્યુઆરી 2019માં ફરી ગંગા એક્સપ્રેસ-વે બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ તે ગંગાના કિનારે આવેલો ન હતો પરંતુ તેને ત્યાંથી 10 કિમી દૂર બનાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.
ગંગા એક્સપ્રેસ-વે મુદ્દે અખિલેશ યાદવે કહ્યું છે કે આ પ્રોજેક્ટ યોગી આદિત્યનાથ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નહીં પણ માયાવતીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. એક રીતે આ વાત સાચી પણ છે, પરંતુ તે કોર્ટના ગૂંચવણોમાં અટવાઈ ગઈ હતી, જે હવે ક્લિયર થઈ ગયો છે અને પીએમ મોદીએ આજે તેનો શિલાન્યાસ કર્યો છે. વાસ્તવમાં દરેક પાર્ટી ચૂંટણી પહેલા વિકાસની ક્રેડિટ પોતાના ખાતામાં નોંધાવવા માંગે છે, તેથી તેના પર રાજકારણ તેજ થઈ ગયું છે.