
ભાવનગરના મીઠી વિરડી ન્યૂક્લિયર પ્લાન્ટના સ્થળે વાવેલા 700 વૃક્ષોની માવજત ગ્રામજનો કરી રહ્યા છે
ભાવનગરઃ જિલ્લાના જસપરા મીઠીવીરડીના 6000 મેગાવોટના સૂચિત ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ સામે આ વિસ્તારમાં મોટું લોક આંદોલન થયુ હતું અને અંતે ગ્રામજનોની જીત થઈ હતી. આ વિસ્તારના ગ્રામ્યજનોએ પાવર પ્લાન્ટમાં જતી જમીનને બચાવીને તેના સ્થાને 4 એકર જમીનમાં 700 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમજ સાથે નાના તળાવનું પણ નિર્માણ કર્યું છે. મીઠીવીરડીના ગ્રામજનો પાવરપ્લાન્ટના સ્થળે નંદનવન બનાવવા માટે છે. તેથી જ 700 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનાં મીઠીવીરડી ગામે વર્ષ 2007માં સ્થપાનારા સૂચિત 6000 મે.વો.ના અણુ વીજળી પ્લાન્ટને ગ્રામજનોના લાંબા સંઘર્ષ બાદ વર્ષ-2017માં રદ કરવામાં આવ્યો હતો. જીવ સૃષ્ટિના હિતમાં અને ખાસ કરીને આ વિસ્તારના અસરગ્રસ્ત ગામોના હિતમાં મીઠીવીરડી સંઘર્ષ સમિતિએ હવે પ્રકૃતિ સુરક્ષા અને રચનાત્મક કામો પણ કરી રહી છે. સૂચિત પ્લાન્ટની જમીનમાં પ્લાન્ટના સ્થાને સમુદાયના સહયોગથી 4 એકરમાં જુલાઇ-2020માં અંદાજે 700 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. અને તેની સાર સંભાળ માટે તાર ફેંસિંગ સહિત પાણીની ટાંકી બનાવીને પિયતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સમયાંતરે સરકારની મહાત્મા ગાંધી નેશનલ રોજગાર ગેરેન્ટી સ્કીમ(MNREGA) હેઠળ આવરી લઈને લાંબા ગાળા માટે પ્લાન્ટેશનની સાર સંભાળ અને પિયત માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પિયત માટે વધુ સરળ અને લાંબાગાળાની સગવડને ધ્યાને લઈને પ્લાન્ટેશન વિસ્તારમાં જ હિતેચ્છુઓ અને સમુદાયના સહયોગથી નાનું તળાવ બનાવીને પિયતની સગવડ ઊભી કરવામાં માટે કામ હાથ ધરવામાં આવ્યું છે.
જસપરા ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે, 6000 મેગા વોટ અણુ વીજ પ્લાન્ટની જમીનમાં કરવામાં આવેલા પ્લાન્ટેશનમાં આવનારી પેઢીને પ્રકૃતિ શિક્ષણનું નિદર્શન પૂરું પાડી શકાય તે હેતુથી કાળજી પૂર્વક ઔષધિય પાકો સહિત પક્ષીઓના ખોરાકને ધ્યાનમાં લઈને વિવિધતા ધરાવતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.